એક અરજદારે ફોટો સાથે રજુઆત કરતા તંત્ર દોડતું થયું, આઈસીડીએસ અધિકારીએ કર્મચારીઓને નોટિસ ફટકારી તપાસના આદેશ આપ્યામોરબી : મોરબીના જેતપર ગામની આંગણવાડીમાં ભૂલકાઓના આરોગ્ય સાથે જાણે રમત રમાઈ રહી હોય તેમ ઈયળ વાળા ભાત અને ધનેડા વાળા ઢોકળા પીરસવામાં આવતા હોવાની એક અરજદારે રજુઆત કરતા તંત્ર દોડતું થયું છે. આ મામલે આઇસીડીએસ અધિકારીએ તપાસના આદેશ આપ્યાનું પણ જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડી.પરમાર નામના એક અરજદારે એવી ફરિયાદ કરી છે કે મોરબીના જેતપર(મ.) ગામે વણકરવાસમાં આવેલ આંગણવાડી નંબર 81માં ભાતમાં ઈયળ અને ઢોકળામાં ધનેડા નીકળે છે. આંગણવાડીમાં કાર્યકર તરીકે ભાવનાબેન ગોવિંદભાઇ પરમાર તથા હેલ્પર તરીકે ભારતીબેન અરવિંદભાઈ પરમાર ફરજ બજાવે છે. આ મામલે સરપંચને સાથે રાખી રજુઆત કરવામાં આવતા તેઓએ જણાવ્યું કે અનાજ સાફ કરવાનો જારો તૂટી ગયો છે. આવું ભોજન ખાઈને જો બાળકોને કઈ થાય તો જવાબદારી કોની ? તેવો અરજદારે પ્રશ્ન ઉઠાવ્યો છે. આ મામલે આઇસીડીએસ અધિકારી મયુરિબેન ઉપાધ્યાયે જણાવ્યું કે સુપરવાઈઝર રજા ઉપર છે. મુખ્ય સેવિકાને નોટિસ આપી છે. વધુમાં આવતીકાલે આ મામલે તપાસ કરવા જવાનો પણ આદેશ આપ્યો છે.