સાંજે 4થી 5 સુધી તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન, ત્યારબાદ 5 વાગ્યે અંતિમયાત્રા શરૂ થશે : સમગ્ર રૂટ ઉપર તમામ વાહનો માટે પ્રવેશબંધી મોરબી : રાજકોટ શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા આવતીકાલે ૧૬ જુને નીકળવાની છે. જે અન્વયે બપોરે ૨.૩૦ થી ૪.૦૦ વાગ્યા દરમ્યાન સ્વ. વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહને ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી લઈ જવામાં આવશે. આ તમામ માર્ગો પર અંતિમયાત્રાના એક કલાક પહેલા વાહનો માટે પ્રવેશબંધી તથા નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે.રાજકોટ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ આ અંગેના આદેશમાં ફરમાવ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ અમદાવાદથી એમ્બ્યુલન્સ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી સુધી લાવવામાં આવશે. ત્યાંથી ખાસ તૈયાર કરવામાં આવેલી શબવાહિનીમાં અંતિમયાત્રા નીકળશે. જે ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા રોડ ડી માર્ટ, રણછોડદાસ આશ્રમ, ડીલક્ષ ચોક, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ, બેડીનાકા જતા હોસ્પિટલ ચોક ઓવર બ્રિજ પર, અરવિંદભાઈ મણિયાર હોલ, ચૌધરી હાઇસ્કુલ ચોક, ધરમ સિનેમા, આર વર્લ્ડ, બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, આમ્રપાલી અંડરબ્રિજ રેસકોર્સ, રૈયા રોડ, આઝાદ ચોક, નરેન્દ્ર પારેખ માર્ગ, હનુમાન મઢી ચોક, નિર્મલા રોડ, નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટી, પુજીત મકાન સુધી પસાર થશે. આથી આ રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી અને નો-પાર્કિંગ (અંતિમ યાત્રા સાથે જોડાયેલા અને સરકારી વાહનો સિવાય) જાહેર કરવામાં આવે છે. અંતિમ યાત્રાના સમય દરમિયાન આ રૂટ ઉપર બન્ને બાજુની શેરીમાંથી કોઇ પણ પ્રકારના વાહનોના ચાલકો અંતિમ યાત્રાને ક્રોસ કરી શકશે નહીં. ૧૬ જૂને સાંજે ૪.૦૦ થી ૫.૦૦ વાગ્યા દરમિયાન સ્વ. વિજયભાઈના નિવાસસ્થાને તેમના અંતિમ દર્શન કરી શકાશે. ત્યાર બાદ સાંજે ૫.૦૦ વાગ્યે સ્વ. શ્રી વિજયભાઈની અંતિમયાત્રા 'પુજીત' મકાનથી નીકળી(1) પ્રકાશ સોસાયટી (નિવાસ સ્થાન)(2) નિર્મલા કોન્વેન્ટ રોડ(3) કોટેચા ચોક, કાલાવડ રોડ(4) મહિલા કોલેજ ચોક(5) એસ્ટ્રોન ચોક(6) સરદારનગર મેઇન રોડ(7) યાજ્ઞીક રોડ(8) માલવિયા ચોક(9) ત્રિકોણબાગ ચોક(10) કોર્પોરેશન ચોક(11) બાલાજી મંદિર ચોક(12) રાજશ્રી ટોકીઝ રોડ(13) સ્વામીનારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડ થઈ (14) રામનાથ પરા સ્મશાન પહોંચશે આ સમગ્ર રૂટ માટેનું પ્રવેશબંધી, નો-પાર્કિંગનું જાહેરનામું યથાવત રહેશે. આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો અને સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા વાહનચાલક શિક્ષાને પાત્ર ઠરશે.