ગામની એકતા અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી : ગામનું સુકાન સર્વાનુમતે નિલેશભાઈ સંઘાણીને સોપાયું મોરબી : માળિયા મિયાણાનું પંચવટી ગામ જે સ્વચ્છતા અને એકતા માટે જાણીતું છે. આ ગામની પંચાયતને માત્ર અડધો જ કલાકમાં સમરસ જાહેર કરી ગ્રામજનોએ એકતાની મિશાલ પૂરી પાડી છે. માળીયા તાલુકાનું પંચવટી ગામ નામ પ્રમાણે જ વિશેષતા ધરાવે છે.સ્વચ્છતા અને પર્યાવરણ પ્રેમ આ ગામની ઓળખ છે.ભૂકંપ બાદ પંચવટી ગામ નિર્માણ પામેલ છે. બ્રિજેશભાઈ મેરજા પંચાયત મંત્રી હતા. ત્યારે તેઓએ પંચવટી ગ્રામ પંચાયતને નવી પંચાયત તરીકે મંજૂરી આપી હતી. પંચવટીની પંચાયતની પ્રથમ ચૂંટણી માટે તારીખ 2 જૂનના રોજ ગ્રામજનોની સભા કરવામાં આવી. આ ગ્રામસભામાં માત્ર અડધો કલાકમાં કોઈપણ વાદ વિવાદ વિના પંચાયત સમરસ નક્કી કરવામાં આવી હતી. એકતા,સંપ,સહયોગ અને પ્રેમનું ઉદાહરણ પંચવટી ગામે પુરૂ પાડયું છે. જે અન્ય ગ્રામ પંચાયત માટે પ્રેરણારૂપ છે. સરપંચ તરીકે વરણી થયેલ નિલેશભાઈ સંઘાણી પોતાની પસંદગી કરવા બદલ તમામ ગામલોકોનો આભાર વ્યક્ત કરે છે. તેમ યાદીમાં જણાવાયું છે.