વાલ્વ બંધ કરીને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સમારકામની કામગીરી કરાઈમોરબી : મોરબીના કેનાલ રોડ પર એસપી રોડના ખુણે ખોદકામ દરમિયાન પાણીની લાઈન તૂટી જતાં વિપુલ માત્રામાં પાણીનો વેડફાટ થયો હતો. સ્થાનિકના જણાવ્યા પ્રમાણે ખોદકામ દરમિયાન પાણીની લાઈન તૂટી જતાં બે દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ અંગે મહાનગરપાલિકા, પાણી પુરવઠા બોર્ડ અને માર્ગ અને મકાન વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ રિપેર કરવા આવ્યું નહતું.જો કે આ અંગે મોરબી મહાનગરપાલિકાના પાણી પુરવઠા અધિકારી પીયૂષ મકવાણા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, ચોમાસામાં પાણી ભરાય ન રહે તે માટે પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલતી હતી. સિંચાઈ વિભાગ દ્વારા સાયફન બનાવ્યું હોવાથી નાલું બંધ થઈ ગયું હતું જેથી આગળથી કનેક્શન આપવા માટે આ જગ્યા પર બે ચેમ્બર બનાવવાની હતી. આ ચેમ્બર બનાવી લાઈન નાખવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી જતાં પાણીનો વેડફાટ થયો હતો. જાણકારી મળતાં જ ઉપરથી વાલ્વ પણ બંધ કરાવી દીધો હતો. સવારે ટીમ પણ સ્થળ પર પહોંચી હતી પરંતુ પાણીનો ફ્લો વધુ હોવાથી સમારકામ થઈ શક્યું ન હતું. ત્યારબાદ વાલ્વ બંધ કરાવીને સમારકામ કરવાની કામગીરી કરાઈ હતી.