કપડાં, પારણું, મોજા સહિતના કપડામાં શ્લોક લખી સમાજને નવો સંદેશો આપ્યોટંકારા : ટંકારા તાલુકાના હરિપર ગામે સગર્ભાએ ગર્ભ સંસ્કાર માટે કાપડમાં ભગવત ગીતાના 700 શ્લોક લખી ધાર્મિક પ્રતિકો થકી અને અનોખી કેડી કંડારી છે. હરિપર ગામે શિક્ષિત ભાગિયા પરિવાર 42 સભ્યોના સંયુક્ત કુટુંબમાં રહે છે. પુસ્તક અને પ્રકૃતિ સાથે પ્રેમાળ પુત્રવધૂ નવલિકાબેન નિશિધભાઈ ભાગિયા સગર્ભા હોય ગર્ભ સંસ્કાર અવસ્થામાં ઈન્ટરનેટ કે ઈત્તર પ્રવૃત્તિ કરવાને બદલે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી રહ્યા છે. જેનાથી આવનારું બાળક સશકત, બુદ્ધિશાળી, ગુણવાન, કરૂણાસભર બની સમાજના હિતમાં અને હક્કમાં હર હંમેશ અગ્રેસર રહે. નવલિકાબેને ભગવત ગીતાના શ્લોકમાં ગરકાવ થઈ વાંચન વેળાએ 700 શ્લોક કાપડમાં કલમ વડે કંડારી ગર્ભમાં રહેલ બાળક સાથે સંવાદનો સિલસિલો શરૂ કર્યો. બાળકના આગમન તૈયારીમાં કપડાં, પારણું, મોજા સહિતના કપડામાં ધાર્મિક સામાજિક અને વ્યવહારિક વૈચારિક ક્રાંતિ લાવવા માટે ઉતમ ઉદાહરણો વાક્યો લખી ગર્ભ સંસ્કારની અનોખી વિધિ કરી છે.નવલિકાબેન નિશિધભાઈ ભાગિયા જણાવે છે કે, વર્તમાન સમયમાં હાથમાં બંસરી નહી પરંતુ સુદર્શન ચક્રની આવશ્યકતા છે. ત્યારે બાળક માતાના કુખમાં થયેલ પાલન પોષણ વિચાર વૈજ્ઞાનિક રીતે સ્વીકૃત પામે છે. તેથી તેમણે આ કાર્ય કરવાનો નિર્ણય લીધો. જેમાં ત્રણેક મહિના સુધી સતત શ્રીમદ ભગવત ગીતા અને સમાજના શ્રેષ્ઠ સેવકો, સંતો, સાહસિકો, ક્રાંતિવિરોની કલ્પના થકી આવનાર બાળકની પુષ્ટભૂમિ તૈયાર કરવા પ્રયત્ન કર્યો હતો. પોતે ગૌરવ સાથે જણાવે છે કે, અમારું કુટુંબ 42 સભ્યોનું છે અને સંયુક્ત રીતે રહેતા હોય આ વેળાએ અઘરું કામ સરળતાથી શક્ય બન્યું છે.