મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ મોરબીમાં યોજાયો હતો : કોરોનાકાળ સમયે મોરબી અપડેટના માધ્યમથી તેઓએ મોરબીવાસીઓને સંબોધ્યા હતા, મોરબી અપડેટના કોન્કલેવનો પણ તેઓએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતોમોરબી : સૌરાષ્ટ્રના વિકાસમાં સિંહફાળો આપનાર એવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. જેને પગલે સમગ્ર રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે મોરબી સાથે નજીકથી જોડાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મોરબી સાથેના સંસ્મરણો યાદ કરી વિવિધ આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે. આ ઘટના ખરેખર દુઃખદ છે. જેનાથી સમગ્ર ગુજરાતમાં શોક છવાયો છે. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા. ત્યારે કોરોના કાળ સમયે મોરબીમાં કેસો ખૂબ વધી રહ્યા હતા. આ સમયે તેઓએ 'મોરબી અપડેટ'ના માધ્યમથી મોરબીવાસીઓને સંબોધ્યા હતા અને સાથે સૂચનો પણ આપ્યા હતા. આ ઉપરાંત મોરબી અપડેટ દ્વારા મોરબીના પ્રશ્નોને લઈને કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ તેઓ મુખ્યમંત્રી હતા. આ સમયે પણ તેઓએ વર્ચ્યુઅલી હાજરી આપીને કોન્કલેવનો પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ મોરબીમાં યોજાયો હતો. તેઓ મોરબીના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો સાથે ગાઢ નાતો ધરાવતા હતા. જેમાં મોરબીના ભાજપના પીઢ અગ્રણી પ્રદીપભાઈ વાળાના ખાસ મિત્ર હતા. પ્રદીપભાઈ વાળાએ પણ તેમની સાથેના સંસ્મરણો યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.