મોરબી : મોરબીની મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિરના સંચાલકો દ્વારા નદીના પાણીનો અવરોધ બને તેવી રીતે ગેરકાયદે દિવાલનું દબાણ કરવામાં આવ્યું હોય આ દબાણ હટાવવા મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રી, કલેક્ટર, મનપા કમિશનર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરી છે. મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડિયા, ગીરીશભાઈ કોટેચા સહિતનાઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, મોરબી જિલ્લા કલેકટર, મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરી જણાવ્યું છે કે, સામાકાંઠા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મચ્છુ નદીના પાણીને આવરોધ બને તેવી રીતે આશરે ૩૦ ફૂટ ઉંચી આડી દિવાલ બાંધવામાં આવી છે. આ દિવાલને કારણે મોરબીના નીચાણવાળા વિસ્તારો જેવા કે ખોખાણી શેરી, ખત્રીવાસ, વણકરવાસ, ભરવાડવાસ, બોરીચાવાસ અને વજેપર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાનું જોખમ છે અને પુરની સ્થિતિ નિર્માણ પામે તેવી સંભાવના રહેલી છે. જેથી તાત્કાલિક દિવાલ તોડવાની કામગીરી કરવા માંગ કરવામાં આવી છે.