અગાઉ ત્રણ દિવસના રિમાન્ડ લીધા બાદ બે દિવસના ફર્ધર રિમાન્ડ મંજુર થયા હતામોરબી : ટંકારાના ચકચારી જુગાર તોડકાંડમાં ફરાર પીઆઈની એસએમસીએ આદિપુરથી ધરપકડ કર્યા બાદ તેઓને રિમાન્ડ પર લેવાયા હતા. જે આજે પૂર્ણ થઈ ગયા બાદ કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે.ટંકારા પોલીસ મથકના તત્કાલિન પીઆઈ યુવરાજ કિશોરસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત હરિસિંહ સોલંકી સહિત પોલીસ કર્મીઓએ તા.24 ઓક્ટોબર 2024ની રાતે કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નં.105માં ઘૂસી 8 લોકોને જુગાર કેસમાં પકડીને તોડ કર્યો હતો. તેઓએ જુગારનો કેસ દાખલ નહીં કરવા, મીડિયામાં ફોટા નહીં આપવા, પોલીસ ફરિયાદમાં નામ ફેરવી નાખવા, સવારે જામીન આપી દેવાની અવેજીમાં 51 લાખ લીધા હોવાનું કહેવાય છે.આ કેસની તપાસ માટે એસએમસીની ટીમે પણ ઝુકાવ્યું હતું. જે બાદ તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ મહિપત સોલંકીએ સરેન્ડર કર્યું હતું. બાદમાં ફરાર પીઆઈ વાય.કે. ગોહિલને એસએમસીની ટીમે કચ્છના આદિપુરથી પકડી લીધા હતા. આ પીઆઈને ગત તા.6ના રોજ કોર્ટમાં 10 દિવસની રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં પીઆઇને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના ફર્ધર રિમાન્ડની માંગ કરાઈ હતી. જેમાં કોર્ટે પીઆઈના બે દિવસના મંજુર કરી આપ્યા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.