નવરંગપુરા વિસ્તારમાં 20 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઉમા ભવન 1 જુલાઈએ ખુલ્લુ મૂકવામાં આવશે : રાહત દરે 144 વિદ્યાર્થિનીઓ રહી શકે તેવી વ્યવસ્થા મોરબી : મોરબીમાં વસતા કડવા પાટીદાર સમાજે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અનોખી ક્રાંતિ સર્જી છે અને સમાજના દીકરા-દીકરીઓ આગળ વધે તે માટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબી કડવા પાટીદાર સમાજ દ્વારા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં 20 કરોડના ખર્ચે સમાજની વિદ્યાર્થિનીઓ માટે ઉમા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અતિ આધુનિક આ ઉમા ભવન આગામી તારીખ 1લી જુલાઈના રોજ ખુલ્લુ મુકવામાં આવશે.કડવા પાટીદાર સમાજ મોરબીના દાતાઓના સહયોગથી અને શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના સંયુક્ત સહકારથી સમાજની દીકરીઓને અભ્યાસ માટે રહેવા અને જમવાની સુવિધા મળી રહે તે હેતુ સાથે નવરંગપુરા વિસ્તારમાં આશરે 1000 વાર જગ્યામાં ત્રણ માળનું ઉમા વિદ્યાર્થી ભવન બનાવવામાં આવ્યું છે.રાહત દરે 144 વિદ્યાર્થિનીઓ રહી શકે તેવી વ્યવસ્થા ભવનના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, ચેરમેન એ.કે.પટેલ તથા ટ્રસ્ટી મંડળે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સારા અભ્યાસ માટે અમદવાદ શહેર તરફ વિદ્યાર્થિનીઓ આવી રહી છે ત્યારે સમાજની દીકરીઓને અભ્યાસની સાથે રહેવા જમવાની સુવિધા રાહત દરે મળી રહે અને આર્થિક બોજ વધારે સહન ન કરવો પડે એ માટે કડવા પાટીદાર સમાજ મોરબી દ્વારા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ઉમા ભવન બનાવવામાં આવ્યું છે. નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આ ઉમાભવન બનાવાયું છે. વિદ્યાર્થીનીઓ માટે ઉમા ભવન તૈયાર થઈ ચૂક્યું છે. ત્રણ માળના આ ભવનમાં આશરે 144 દીકરીઓ રહી શકશે આ કાર્ય સમાજના દાતાઓ અને આગેવાનોના દાનથી પૂરું થયું છે અને આગામી 1લી જુલાઈના રોજ દાતાઓના હસ્તે ઉમા ભવન સમાજની વિદ્યાર્થિનીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે. હાલ વિદ્યાર્થિનીઓ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.સમાજના દાતાઓનો સહયોગ મળ્યો સમાજના ત્રણ દાતાઓએ આ ભવન નિર્માણમાં 51-51 લાખ રૂપિયા આપ્યા છે. એક રૂમ બનાવવામાં 6,51,000 નો ખર્ચ થયો છે. જેમાં 36 પરિવારે એક રૂમ માટેનું દાન આપી સહકાર આપ્યો છે. આ પહેલથી દીકરીઓ આત્મનિર્ભર બનશે અમદાવાદ શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં કડવા પાટીદાર સમાજના 2,000 થી વધુ પરિવારો રહે છે જેમાં સાબરમતી, ચાંદખેડા,ગોતા, બોપલ, સાયન્સ સિટી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, વૈષ્ણોદેવી, નરોડા, નિકોલ, વસ્ત્રાલ, બાપુનગર અને ઘોડાસર વિસ્તારમાં અંદાજે કડવા પાટીદાર સમાજના 2000થી વધારે પરિવારો વસવાટ કરે છે. આ ઉમા ભવનથી સમાજની દરેક દીકરીને અભ્યાસ કરવાનું સ્વપ્ન પૂર્ણ થશે. દીકરીઓ અભ્યાસ કરીને આત્મનિર્ભર બનશે અને પરિવારને પણ મદદરૂપ થશે તે લક્ષ્ય સાથે આ ભવન બનાવ્યું છે.