ગેઝેટમાં સુધારા કર્યા વગર કલેકટર ખેડુતોના અધિકાર ડુબાડી ખાનગી કંપનીના હિતમાં હુકમ કરે તો તે અસંવિધાનિક : ખેડૂતોમોરબી : મોરબી તાલુકાના જેતપર ગામનો ગેઝેટમાં ઉલ્લેખ ન હોવા છતાં હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ નામની કંપની વીજલાઈન પસાર કરી રહી હોય આ મામલે જેતપર ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. આ મામલે રૂપાભાઈ રતનશીભાઈ દ્વારા જણાવાયુ છે કે હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ નામની ખાનગી કંપનીને ખાવડા પુલીગ સ્ટેશન ફેઝ-3 પાર્ટ-A ના અંતર્ગત 7GW રિન્યુએબલ એનર્જીને સ્થળાંતરિત કરવા માટેની ભારત સરકારની આંતર રાજ્ય ટ્રાન્સમિશન લાઇનનો પ્રોજેક્ટ મળ્યો છે. જે ભારત સરકાર ઉર્જા વિભાગે ગેઝેટ દ્વારા જે તાલુકાના ગામડાઓમાંથી ટ્રાન્સમિશન લાઇન નિકળે છે તે હુકમ કર્યો છે. આ ગેઝેટમાં મોરબી તાલુકાના જેતપર ગામનો સમાવેશ થયેલ ન હોવાથી મોરબી જીલ્લા કલેકટર સમક્ષ ટેલિગ્રાફ એક્ટની કલમ-16(1) મુજબ હુકમ મેળવવાનો હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીને અધિકાર રહેતો નથી અને જો ગેઝેટમાં સુધારા કર્યા વગર જીલ્લા કલેકટર ખેડુતોના નામનો હુકમ કરે તો તે કાયદા મુજબ નલ એન્ડ નીલ યાને કે રદ બાતલ ગણાય. જેથી જીલ્લા કલેકટર સમક્ષ હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા રજુ કરેલ કલમ-16(1) મુજબ હુકમ મેળવવાની દરખાસ્ત દફતરે કરવા માંગ છે. જેતપર ગામના ખેડુતોએ જીલ્લા કલેકટરને તા. 07/03/2025, 22/04/2025 અને 06/06/2025 ના રોજ લેખિતમાં રજુઆત કરી હતી કે હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની ગેઝેટમાં સુધારા કરી આપની સમક્ષ રજુ કરે પછી ખેડુતો પોતાના દરેક વાંધા રજુ કરી શકે અને કલેકટર આગળની કાર્યવાહી કરી શકે. ગેઝેટમાં સુધારા કર્યા વગર કલેકટર ખેડુતોના અધિકાર ડુબાડી ખાનગી કંપનીના હિતમાં ખેડુતોના નામનો હુકમ કરે તો તે અસંવિધાનિક છે. ભારત સરકારનો આ પ્રોજેક્ટ જાહેર હિતમાં છે, પરંતુ જે ખેડુતોએ આ પ્રોજેક્ટમાં પોતાના વડીલો દ્વારા મળેલ અતુલ્ય 'મા' સમાન ભુમિ જેના લીધે ખેડુતોની આજીવિકા ચાલે છે તે ભુમિ પર થી તે જ ખેડુતોના હિત ડુબાડીને ટ્રાન્સમિશન લાઇન કાઢવી એ અસંવિધાનિક છે.