મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-2025 અંતર્ગત મતદાન 22-06-2025 ના રોજ યોજનાર છે.જે અન્વય જિલ્લામાં ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેથી આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જિલ્લા જે ગામોમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-2025 ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારના સ્વરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર જમા કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જાહેરનામા અનુસાર મોરબી જિલ્લા જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારના સ્વરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર 11-06-2025 સુધીમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે.આ જાહેરનામુ ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ છે. તમામ મેજિસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટરમ, ઇન્કમટેક્સ, સેન્ટ્રલ એક્સાઇઝ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ/કર્મચારીઓને હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી/અર્ધસરકારી સંસ્થાઓ (બેંક કોર્પોરેશન સહિત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે.ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શિયલ બેંક, એટીએમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરિટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે, આવા સિક્યુરિટી ગાર્ડ એ તેઓ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી/એકમના ફોટોગ્રાફ સાથેનો ઓળખપાત્ર પોતાની સાથે રાખવાનો રહેશે. તેમજ જે તે સંબંધિત એજન્સી/એકમના અધિકૃત અધિકારીશ્રીએ આવા સિક્યુરિટી ગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે અને પોલીસ સ્ટેશને આ અંગે નિયમો અનુસારની ચકાસણી કરી લેવાની રહેશે. શૂટિંગની રમતમાં રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશનના સભ્ય છે અને તેમને વિવિધ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઈફલનો ઉપયોગ કરે છે તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. હથિયાર જમા કરાવવા બાબતે અત્રેની કચેરીથી રચાયેલી સ્ક્રીનીંગ કમિટી દ્વારા મુક્તિ મળેલ હોય તેમને પણ આ જાહેરનામુ લાગુ પડશે નહીં.વધુમાં તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી દિવસ-7 માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરવાની રહેશે અને આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે.આ જાહેરનામુ 27-06-2025 સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર શસ્ત્ર અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા મુજબ શિક્ષાને પાત્ર થશે.