રફાળેશ્વરમા છાપરા ઉપરથી પટકાતા બે શ્રમિકના મૃત્યુ, વેપારીએ મચ્છુ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યોમોરબી : મોરબી શહેર, ગ્રામ્ય તેમજ માળીયા મિયાણા પંથકમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અપમૃત્યુના અલગ અલગ પાંચ બનાવમાં છ લોકોના મૃત્યુ નિપજ્યા હતા.અરેરાટી ભર્યા એક બનાવમાં તો રફાળેશ્વર જીઆઇડીસીમા રોજી રોટી કમાવવા ગયેલા બે યુવાન છાપરા ઉપર ચડીને કામ કરતા હતા ત્યારે ઉપરથી નીચે પટકાતા બન્નેના મૃત્યુ નીપજ્યા હતા.અપમૃત્યુના પ્રથમ બનાવમાં રવાપર નદી ગામે રહેતા નયનાબેન દિનેશભાઇ ચૌહાણ ઉ.32 નામના પરિણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.નયનાબેનના લગ્ન દસેક વર્ષ પહેલાં થયા હતા. બીજા બનાવમાં માળીયા મિયાણાના ખીરઇ ગામે પાણીની કેનાલમાં ડૂબી જવાથી મોરબીના ઈન્દિરાનગરમાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ઉ.40નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રીજા બનાવમાં મોરબીની હવેલી શેરીમાં રહેતા જીતેશભાઈ ઉર્ફે જીતુભાઇ દલસુખરાય ખંભાતી ઉ.45 નામના યુવાને કોઈ કારણોસર કંડલા બાયપાસ ઉપર મચ્છુ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.જ્યારે ચોથા બનાવમાં મોરબીની રફાળેશ્વર જીઆઈડીસીમાં જીઓ ટેક કલર કંપનીમાં છાપરા ઉપર ચડી કામ કરી રહેલા કિશોરભાઈ કાંતિભાઈ અદગામા ઉ.40 અને દિનેશભાઇ સોમાભાઇ વરાણીયા ઉ.45 રહે.બન્ને ત્રાજપર વાળાઓ છાપરા ઉપરથી નીચે પટકાતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. પાંચમા બનાવમાં મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા નીતિનભાઈ નરસીભાઈ મોરડીયાએ આઠેક મહિના પૂર્વે મગજનું ઓપરેશન કરાવેલ હોય તા.27ના રોજ બેભાન થઇ જતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.2 જુનના રોજ મૃત્યુ નીપજ્યું હતું.