મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ હેઠળના વિસ્તારમાં ચૂંટણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, ઉમેદવારો તરફથી ઓળખ તેમજ અન્ય બાબતોએ વિવિધ છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે તથા લોકોમાં વહેંચણી કરવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ, કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર્ય ખંડન જેવી કોઈ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સંબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઈ શકાય તે માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશનને પર વિવિધ નિયંત્રણો અને આદર્શ આચાર સંહિતાના અમલીકરણની માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો, પોસ્ટર્સ, કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ છાપવા કે લગાવવા કે પ્રસિદ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકાશે નહીં તેમજ હોર્ડિંગ્સની સાઇઝ 15 ફુટ x 8 ફુટ થી વધારે રાખવા પર પ્રતિબંધ કરાયો છે અને કટઆઉટની ઉંચાઇ 8 ફુટથી વધવી જોઇએ નહી.કોઈપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો, પોસ્ટર્સ, કટ આઉટ, હોડીંગ્સ, બેનર્સ, ભીંતપત્રો છાપી કે લગાવી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં. સિવાય કે તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે 7 દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીને તથા સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોય, આ જોગવાઈ પુરતું હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે.છાપેલા ચૂંટણી અંગેના કોઈ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પકિતમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે. અને મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડણ-ક અને જોડાણ-ખ ના નિયત નમૂનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીને રજુ કરવાની રહેશે.આ હુકમ તા.27/06/2025 સુધી તેમજ મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓ-2025 હેઠળના વિસ્તાર અમલમાં લાગુ રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.