ગુજરાતમાં પીટીસી D.le.ed માં પ્રવેશ માટે જૂની સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ કરવાની ઉઠી માંગમોરબી : સમગ્ર ગુજરાતમાં પી.ટી.સી. એડમીશન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. હાલના ડીઝીટલ યુગમાં તમામ એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે પણ આટલા ડીઝીટલાઈઝેશનમાં પણ એકમાત્ર PTC એવો કોર્સ છે જેમા ઓફલાઈન ફોર્મ ભરવાનુ અને દરેક કોલેજે કોલેજે રૂબરૂ જઈને ફોર્મ ભરવાનું છે. આ દરમ્યાન વાલીઓ અને વિદ્યાર્થીઓ 10 દિવસમા દોડી દોડીને કેટલી કોલેજમાં ફોર્મ ભરી શકે ?? એમા પણ ખાનગી કોલેજવાળાએ તો જાહેરાત આવ્યા પહેલા લાગતા વળગતાને એડમીશન આપી દિધા છે. અને હવે કોઈના ફોર્મ જ સ્વિકારતા નથી. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ એડમિશન માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે, સરકારી, ગ્રાન્ટેડ કોલેજમા ફોર્મ તો સ્વિકારે છે. પરંતુ એડમીશન માટે વેઈટીંગ ઉપર વેઈટીંગ રાઉન્ડ બહાર પડશે અને પારદર્શકતા કે મેરીટની જરાય ગેરન્ટી નથી. સરવાળે ત્યા પણ લાગતા વળગતા ગોઠવાઈ જશે અને એક ગરીબ, મધ્યમવર્ગનો વાલી પોતાના દીકરી/દીકરાને શિક્ષક બનાવવાનો વિચાર કરતો રહિ જશે.ખેડૂતને એક ખાતર કે બીયારણ લેવા માટે પણ ઓનલાઈન કરાવતી સરકાર શું આવડી મહત્વની ભાવી શિક્ષક બનવાની એડમીશન પ્રોસેસ ઓનલાઈન કે પારદર્શક નથી કરી શકતી ? વાલીઓ અને તેના બાળકો આવા ધોમ તડકાના બસ, રીક્ષા કે લોકલ વાહનો બેસીને પછડાતા, ઠોકરો ખાતા 150-200 કી.મી. કાપી ફોર્મ ભરવા કોલેજે જાય ત્યા કોલેજવાળા તો અમારો કવોટા પુરો થઈ ગયો,હવે જગ્યા નથી આવુ ખુમારીથી કહી દે છે. આવી સંસ્થાઓમાથી બનનારા ભાવિ શિક્ષકો કેવા હશે ?આ ઉપરાંત એક કરતા વધુ કોલેજમાં ફોર્મ ભરવાની છુટ તો આપી પણ તંત્રને એ વિચાર ના આવ્યો કે 10 દિવસમા વાલી રખડી રખડીને કેટલી કોલેજમા ફોર્મ ભરી શકે ? પ્રવેશ માટે વિદ્યાર્થીઓના અતિશય ધસારા વચ્ચે રોજનું એક કોલેજમાં માંડ માંડ ફોર્મ ભરી શકાય. પોતાના બાળકને એડમિશન માટે વધુમાં વધુ કોલેજમાં ફોર્મ ભરવા વાલીઓ બેબાકળા બન્યા છે. પણ આ વાલીઓ પાસે કયા ફોર વ્હિલ છે કે મોંઘા ટીકીટભાડા ખર્ચવાની સગવડ છે ? સસ્તા ભાડામા એકાદ કોલેજમાં માંડ ફોર્મ ભરી થાકીને સુઈ જાય છે. સવારે પાછા ઉઠીને બીજી કોલેજની બસ પકડવાની. એ.સી. ઓફીસોમાં બેસીને આવા તઘલખી નિર્ણયો લેતા અધીકારીઓને એક દિવસ એક કોલેજમાં આ રીતે 4-5 વાહનો બદલી (એમા લોકલ બસ, ખટારો અને રીક્ષા પણ આવી જાય) ફોર્મ ભરવા જાય તો ખબર પડે કે કેટલુ અઘરુ છે. આ બધુ ગેરરીતી રોકવાનો એક જ ઉપાય છે જુની સેન્ટ્રલાઈઝ એડમિશન પ્રોસેસ નહિતર ગરીબ વાલીઓ પીસાતા રહેશે અને લાગવગથી પીટીસી કરી ભાવી શિક્ષકો બનતા રહેશે. એવું PTC એડમિશનથી તદન કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ જણાવ્યું છે.