દુશ્મન દેશના છક્કા છોડાવી દેનાર યુદ્ધ ટેન્કનું મહત્વ વિસરી જતા સ્થાનિક અધિકારીઓએક સમયે મોરબીમાં એનસીસીની એન્જિનિયરીંગ પ્લાટુન હતી કાર્યરતમોરબી : મોરબી જિલ્લો બન્યાના એક દાયકા બાદ પણ હજુ પણ અનેક સુવિધાઓ નથી મળી ત્યારે એક સમયમાં મોરબીમાં ધમધમતી એનસીસીની એન્જિનિયરીંગ પ્લાટુનની એક મહત્વની યાદગીરી હાલમાં ધૂળ ખાઈ રહી છે. મોરબી ખાતે એનસીસી બટાલિયનના સમયમાં બે યુદ્ધ ટેન્ક ખાસ ફાળવવામા આવી હતી જે છેલ્લા 50 વર્ષ જેટલા સમયથી મોરબીના જુના એનસીસી કેમ્પસમાં ધૂળ ખાતી હાલતમાં છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અહીં ભૂતકાળમાં જિલ્લા પોલીસવડા, અને હાલમાં ક્રાઇમબ્રાન્ચ અને મામલતદાર કચેરી બેસતી હોવા છતાં એક પણ અધિકારીએ ભારતીય સેનાના ઘરેણા સમાન આ યુદ્ધ ટેન્કની દરકાર લેવાની તસ્દી લીધી નથી.મોરબી શહેરના વેજીટેબલ રોડ ઉપર આવેલ એનસીસી કેમ્પસમાં 1962ના સમયની ભારતીય સૈન્યની બે ટેન્ક હજુ પણ મજબૂત અવસ્થામાં હયાત છે. યુદ્ધ ભૂમિમાં દુશ્મન દેશના હાજા ગગડાવી દેનાર ટેન્કને નિવૃત્તિ બાદ એક યાદગાર સંભારણા તરીકે સાચવી રાખવા તેમજ એન્જિનિયરીંગ અભ્યાસ માટે ફાળવવામાં આવતી હોય છે. જે અન્વયે મોરબી જિલ્લામાં વર્ષ 1962થી લઈ 1974 દરમિયાન એનસીસીની એન્જિનિયરીંગ પ્લાટુન અને 36-એનસીસી બટાલિયન કાર્યરત હોવાથી એ બે ટેન્કને ફાળવવામાં આવી હતી. પરંતુ સમય જતા મોરબીથી એનસીસી બટાલિયનની વિદાય થતા આજે પણ આ ટેન્ક અહીં ધૂળ ખાતી સ્થિતિમાં પડી છે.મોરબીના નિવૃત એનસીસી કમાન્ડર એમ.જે.મારુતિ જૂની યાદોને તાજા કરતા કહે છે કે, એક સમયે મોરબીમાં 36 -એનસીસી બટાલિયન કાર્યરત હતી અને તેઓ ઇન્ચાર્જ કમાન્ડર તરીકે સેવા પણ આપી હતી. તત્કાલીન સમયે ભારતીય સેના માટે મોરબીથી ઘી મોકલવામાં આવતું હોવાનું જણાવી તેઓ ઉમેરે છે કે, સમય જતા મોરબીથી એનસીસી બટાલિયન જામનગર જતી રહેતા કેમ્પસ ખાલી પડ્યું છે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, અહીં એનસીસીની એન્જિનિયરીંગ પ્લાટુન કાર્યરત હોવાથી અભ્યાસ માટે આ ટેન્ક ફાળવવામાં આવી હતી.50 વર્ષ કરતા જૂની ટેન્કનો ટાયર હજુ પણ યથાવતમોરબીના એનસીસી કેમ્પસમાં 50 વર્ષ કરતા વધુ સમય પહેલા બે ટેન્ક ફાળવવામાં આવી હતી. ભારતીય સેનાની આ ટેન્ક એટલી મજબૂત છે કે, આજે પણ ટેન્કના લોખંડ અને પતરા મજબૂત છે. સાથે જ આટલા વર્ષો વીતવા છતા પણ ટાયરમાં હવા ભરેલી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતમાં છે. જો મોરબીના ઉચ્ચ અધિકારીઓ કોઈ સર્કલ ઉપર કે બગીચામાં ભારતીય સેનાના આ ઘરેણાંને રીનોવેશન કરીને રાખે તો ચોક્કસપણે સેનાના ઘરેણાંની સાચી કિંમત થશે.સર વાઘજી હોસ્પિટલમાં એનસીસી કેમ્પસનું રીનોવેશન પણ જરૂરીમોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ એનસીસી કેમ્પસ તરીકે ઓળખાતી જગ્યાનો પણ અનેરો ઇતિહાસ છે અને વર્ષો પહેલા મોરબીના રાજવી સર વાઘજી ઠાકોરના નામથી હોસ્પિટલ કાર્યરત હતી. સમય જતા સર વાઘજી હોસ્પિટલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલમાં સ્થળાંતર થતા અહીં વર્ષો સુધી ખંઢેર હાલતમાં બિલ્ડીંગ રહ્યા બાદ અહીં જિલ્લા પોલીસવડાની કચેરી તેમજ એસઓજી, એલસીબી જેવી ઓફિસો કાર્યરત થયા બાદ હાલમાં મામલતદાર ઓફિસ અને એલસીબી ઓફિસ કાર્યરત છે. ત્યારે પૌરાણિક મહત્વ ધરાવતી આ બિલ્ડિંગને ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે રીતે રીનોવેશન કરવામાં આવે અને સાથે જ હવે મોરબી જિલ્લો બની ગયો હોય ફરી એનસીસી બટાલિયનની માંગણી કરવામાં આવે તો એનસીસી કેમ્પસ પણ અહીં શરૂ થઇ શકે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.ટેન્ક બાબતે તપાસ કરવામાં આવશે : જિલ્લા કલેકટરમોરબીના એનસીસી કેમ્પસ ખાતે ધૂળ ખાતી હાલતમાં પડેલી ટેન્ક અંગે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, મોરબીમાં યુદ્ધ સમયની ટેન્ક પડી હોવાની બાબત મારા ધ્યાનમાં નથી. આ બાબતે સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરી તપાસ કરવામાં આવશે તેમ જણાવી હાલમાં ટેન્ક ક્યાં વિભાગ હસ્તક છે તે અંગે પણ તપાસ કરી ઘટતું કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું.