બંને બાળકોને પીએમ માટે ખસેડાયા : આજે વહેલી સવારે બન્યો બનાવો હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામના બે બાળકો આજે વોંકળાના ખાડામાં ભરાયેલા પાણીમાં નાહવા જતા ડૂબી જતા મોત નીપજ્યું છે. બંને બાળકોના મૃતદેહને ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા આદિત્યભાઈ મુન્નાભાઈ ભરવાડ ઉંમર વર્ષ 13 અને પ્રિન્સ ભાઈ મુકેશભાઈ ભરવાડ ઉંમર વર્ષ 12 બંને બાળકો તેના દાદા સાથે ગામના પાદરમાં આવેલ તેમના ખેતરે ગયા હતા. ત્યારે ખેતરની બાજુમાંથી જ પસાર થતા વોંકળાના ખાડામાં પાણી ભરાયેલ હોય જેથી આદિત્ય અને પ્રિન્સ બંને નાહવા પડ્યા હતા જોકે તેનો મિત્ર કાંઠે બેઠો હતો. બંને બાળકો ખાડામાં ડૂબી રહ્યા હોવાની જાણ તેના મિત્રને થતા તે તાત્કાલિક ગામમાં દોડી આવ્યો હતો અને ગામ લોકોને જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બંને બાળકોને પાણીના ખાડામાંથી બહાર કાઢી ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કરતા પરિવારમાં પણ કાળો કલ્પાંત છવાયો છે.બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.