જોકે રાહતની વાત છે કે મોરબીમાં હજુ કોરોનાનો એકેય કેસ નોંધાયો નથીમોરબી : ગુજરાતમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે જો કે મોરબી જિલ્લામાં એકેય કેસ ન નોંધાયો હોવાનું તંત્રએ જાહેર કર્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા તમામ તકેદારીઓ રાખવાની સાથે જરૂરી તૈયારીઓ પણ કરી લીધી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસનો આંક હવે વધીને 190 થઈ ગયો છે. જેમાં સૌથી વધુ 131 કેસ માત્ર અમદાવાદમાંથી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાંથી 131, રાજકોટ કોર્પોરેશનમાંથી 15, જામનગર કોર્પોરેશનમાંથી 10, મહેસાણામાંથી 6, ગાંધીનગર કોર્પોરેશનમાંથી 5, ભાવનગર કોર્પોરેશનમાંથી 4, કચ્છમાંથી 3, બનાસકાંઠામાંથી 2, ખેડામાંથી 2, આણંદ-ભરૂચ-પાટણ-વલસાડમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા છે. આ અંગે મોરબી સિવિલ અધિક્ષક ડો. દૂધરેજીયાએ જણાવ્યું કે મોરબીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે 14 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ સાથે 3 વેન્ટીલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 215 ઓક્સિજન હેવી સિલિન્ડર અને 10 ડયુરા સજ્જ રાખવામાં આવ્યા છે. પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કીટ પણ ઉપલબ્ધ કરાઈ છે.