મચ્છુ ડેમની વચ્ચોવચ્ચ આવેલ જોગ આશ્રમનો અનેરો ઇતિહાસ : મચ્છુ ડેમ-2થી મોરબીને ખતરો હોવાની જોગબાપુએ જે તે સમયે ચેતવણી પણ આપી હતીમોરબી : મચ્છુ જળ હોનારત શબ્દ સાંભળતા જ વિશ્વભરમાં મોરબીનુ નામ ચર્ચામાં આવે છે. હાલ મોરબીની જીવાદોરી ગણાતો મોરબીનો મચ્છુ-2 ડેમ દરવાજા બદલવાની કામગીરીને કારણે સંપૂર્ણ ખાલી થતા ડેમની વચ્ચોવચ્ચ આવેલા સુપ્રસિદ્ધ જોગ ડુંગરી આશ્રમ ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અંદાજે 5000 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા જોગ આશ્રમમાં સામાન્ય દિવસોમાં ફરતી બાજુએ પાણી ભરેલું હોવાથી આવી શકાતું નથી. જો કે, અહીં ડેમનું નિર્માણ કરવાનું નક્કી થતા જોગ બાપુએ અહીંની જગ્યા છોડી લજાઈ ખાતે આશ્રમ બનાવ્યો હતો બાદમાં લજાઈથી તેઓ થાનગઢ ખાતે સ્થાયી થયા બાદ 1977માં તેઓનો દેહવિલય થયો હતો. જોગડુંગરી આશ્રમની નજીકમાં જ આવેલ નવાગામના લોકોએ બાપુ 300 વર્ષથી વધુનું આયુષ્ય ધરાવતા હોવાનું જણાવી રહયા છે.મોરબીમાં વર્ષ 1972માં મચ્છુ-1 ડેમના હેઠવાસમાં નવાગામ નજીક મચ્છુ-2 ડેમનું નિર્માણ કરાયા બાદ 1979માં મચ્છુ જળહોનારત સર્જાતા અનેક લોકોના મૃત્યુ નિપજ્યા હતા. મોરબી નજીક મચ્છુ -2 ડેમના નિર્માણ સમયે મચ્છુ ડેમની વચ્ચોવચ જોગ ડુંગરી આશ્રમ આવેલ હોય અહીં આશ્રમ બાંધીને રહેતા ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ એટલે કે, જોગબાપુએ તંત્ર વાહકોને અહીં ડેમ નિર્માણ ન કરવા ચેતવ્યા હતા અને જો અહીં ડેમ બાંધવામાં આવશે તો મોરબી માટે મોટો ખતરો હોવાની જે તે સમયે ચેતવણી પણ આપી હતી. જો કે, 1972માં ડેમના નિર્માણ બાદ બાપુની ચેતવણી મુજબ મચ્છુ-2 ડેમ તૂટતાં મોરબીમાં મચ્છુ જળ હોનારતને કારણે બહુ મોટી તારાજી સર્જાઈ હતી. જો કે, મચ્છુ ડેમના નિર્માણ બાદ જોગબાપુ અહીંથી લજાઈ જતા રહ્યા હતા અને ત્યાંથી થાનગઢ ખાતે આશ્રમ વસાવ્યો હતો.જોગડુંગરી આશ્રમ વિષે મોરબીના વાતની નટુપરી ગૌસ્વામી જણાવે છે કે, અમે બાપુને નજીકથી નિહાળ્યા છે. બાપુનો જોગ આશ્રમ પાંડવોના સમયથી અહીં આવતા જ નીરવશાંતિનો અહેસાસ થત્તો હોવાનું જણાવતા તેઓ ઉમેરે છે કે, સામાન્ય દિવસોમાં ડેમ ભરેલો હોય ત્યારે અહીં વાહન મારફતે કે ચાલીને આવી શકાતું નથી અહીં આવવા માટે હોડીની જરૂર પડે છે. નવાગામના વતની પ્રભુલાલ રામજીભાઈ પરેચા જણાવે છે કે, આ જગ્યા દિવ્યભૂમિ છે. અહીં લોકો દુરદુરથી શ્રદ્ધાપૂર્વક આવે છે. પાંડવો પણ આ આશ્રમમાં આવ્યા હોવાનું ઉમેરી તેઓ જણાવે છે કે, આશ્રમ કેટલો જૂનો છે તે કહી શકાય તેમ નથી અહીં મોરબીના રાજા મહારાજા પણ આવતા હોવાનો ઇતિહાસ તેઓએ વર્ણવી લોકવાયકા મુજબ આ જગ્યા 5000 વર્ષ જૂની હોવાનું જણાવ્યું હતું.64 જોગણી અને 52 વીરની જગ્યા એટલે જોગ આશ્રમમોરબીના નવાગામના પ્રભુભાઈ પરેચા જણાવે છે કે, જોગ આશ્રમમાં 64 જોગણી અને 52 વીરોની ખાંભી આજે પણ હયાત છે. પાંડવો હસ્તિનાપુરથી દ્વારકા ગયા હતા ત્યારે અહીંથી પસાર થયા હતા. સાથે જ સહદેવે અહીં ભગવાન શિવજીનું મંદિર સ્થાપિત કર્યું હોવાનું તેમજ જોગબાપુ અહીં ધુણો ધખાવી તપસ્યા કરતા હોવાનું જણાવી જોગબાપુ નવાગામ ખાતે દરરોજ આવતા હોવાનું તેમને જણાવ્યું હતું.મોરબીની ઠાકરલોજ પરિવાર બાપુના કૃપાપાત્ર શિષ્યમોરબીની પ્રખ્યાત ઠાકર લોજના મોભી કરુણાશંકરભાઈ જોગબાપુના કૃપાપાત્ર હોવાનું આશ્રમ સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યા છે. ઠાકર પરિવારના પુત્રવધુ હંસાબેન ઠાકરે જણાવ્યું હતું કે, તેમનું સગપણ પણ જોગબાપુએ જ કરાવ્યું હતું. બાપુના જીવન અંગે પણ તેઓએ અનેક રહસ્યમય વાતો જણાવી બાપુનું આયુષ અગણિત હોવાનું અને ઉંમરનો સાચો ક્યાસ કાઢી શકાય તેમ ન હોવાનું જણાવી બાપુએ ભેટ આપેલ લોટા સહિતની વસ્તુઓ તેમની પાસે હોવાનું ઉમેરી જોગબાપુની તેમના પરિવાર ઉપર અસીમ કૃપા હોવાનું જણાવ્યું હતું.