દર વર્ષે 1 લાખ નકલનું વિતરણ કરવાનો સંકલ્પ લેતાં ભાણજીભાઈ અગોલા મોરબી : મોરબી તાલુકાના હરીપર ગામના વતની અને એલ. ઈ. કૉલેજના વિદ્યાર્થી અને ત્યાં જ અધ્યાપક થયા પછી હેડ ઓફ મીકેનીકલ ડીપાર્ટમેન્ટ પદેથી નિવૃત્ત પ્રોફેસર ભાણજીભાઈ અગોલાએ ગ્રામ્ય યુવાનોને જ્ઞાનરૂપી પુસ્તકદાન આપવાનું પ્રેરણાદાયી અભિયાન શરુ કર્યું છે. તેમણે ગુજરાતનાં 18250 ગામડાની સરકારી સ્કૂલમાં ધોરણ 6, 7 અને 8નાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનું 'યુવાનોને...' પુસ્તક વિના મૂલ્યે આપવાનું વિચાર્યું. વિવિધ પ્રકારના દાનમાં જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે. જેથી નિવૃત્તિ પછી તેમણે 2014માં અલ્ટો ગાડી અને 2.5 લાખ કિ.મી. સેલ્ફ ડ્રાઇવિંગ કરીને આ અભિયાન એક વર્ષ સુધી ચલાવ્યું. ગુજરાતના 250 તાલુકામાં 8 લાખ વિદ્યાર્થીઓને આ પુસ્તક વિનામૂલ્યે અર્પણ કર્યું. વિદ્યાર્થીઓને સમૂહમાં ભેગા કરીને સ્વામી વિવેકાનંદજીના જીવન અંશો વિશે વ્યાખ્યાન આપીને આ પુસ્તકનું મહત્ત્વ સમજાવીને પછી વિતરણ કર્યું.જે વિદ્યાર્થીઓને આ પુસ્તક વિતરણ કરેલ એમાંથી ઘણાએ પ્રેરણા લઈને જીવન સુધાર્યુ અને ભાણજીભાઈને પત્ર દ્વારા યાદ કર્યા. એ પત્રનો ફલો જોઈને આ અભિયાન પુનઃ શરૂ કરવાનું વિચાર્યું અને 1-7-2025થી દર વર્ષે 1 લાખ નકલનું વિતરણ કરવાનો સંકલ્પ લીધો છે.હમણા એક મહિના થયા 'શ્રી લક્ષ્મણભાઈ સ્મૃતિ વર્તુળ-મોરબી' દ્વારા સૌરાષ્ટ્રના પ્રથમ પાટીદાર સમાજની બોરડીના સ્થાપકનું પ્રેરણાદાયી જીવનચરિત્ર 'બત્રીસ લક્ષણું બલિદાન' પુસ્તકની 51 હજાર નકલનું વિતરણ શરૂ કર્યું. જે બે લાખ નકલ સુધી જવાની સંભાવના છે.