રેલવે સ્ટેશનમાં લાંબા અંતરની ટ્રેનો ચાલુ કરવા સ્થાનિકોની માંગ : કાર્યક્રમમાં નિવૃત આર્મી જવાનોનું સન્માનમોરબી : અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મયુરનગરી મોરબીના રેલવે સ્ટેશનનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તેની કાળજી સાથે રૂપિયા 9.98 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે.મોરબી રેલ્વે સ્ટેશનને હેરિટેજ મોડેલ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે જેમાં ઐતિહાસિક વારસાને જાળવી રાખવાની સાથે આધુનિક કાર્યક્ષમતાનો સંગમ કરી રેલવે સ્ટેશન ખાતે રૂ.9.98 કરોડના ખર્ચે પ્લેટફોર્મ ઉપર અપગ્રેડેડ સાઇનેજ બોર્ડ, કોચ સંકેત પ્રણાલીઓ અને આધુનિક ફર્નિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં કોનકોર્સ અને વેઇટિંગ એરિયામાં હેરિટેજ ટાઇલ્સનો ઉપયોગ કરી રેલવે સ્ટેશનને એક અલગ સાંસ્કૃતિક ટચ આપવામાં આવી છે. સાથે જ વિશાળ પાર્કિંગ સુવિધાઓ અને પહોળા રસ્તાઓ વધતી જતી ટ્રાફિક સમસ્યાનો અંત લાવશે.આ રીડેવલપ થયેલા રેલવે સ્ટેશનનું આજે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. આ વેળાએ સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં સ્થાનિક આગેવાનો દ્વારા લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવાની રજુઆત પણ કરી હતી. આ કાર્યક્રમ વેળાએ નિવૃત આર્મી જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.