શહેરના અનેક વિસ્તારમાં ટેન્કર દોડાવવાનું શરૂ : ટેન્કર મારફતે દૈનિક 2થી લઈ 26 ફેરા નાખવાની નોબતમોરબી : મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના પાટિયા બદલવાની કામગીરી તેમજ નર્મદા કેનાલ બંધ હોવાથી હાલમાં સીરામીક નગરીની હાલત ગ્રામ પંચાયત વિસ્તાર જેવી બની છે અને પાણીની અછતને કારણે હાલમાં મોરબી મહાનગર પાલિકાને ભરઉનાળે શહેરના અનેક વિસ્તારમાં ટેન્કર દોડાવવાની સ્થિતિ આવી છે. મચ્છુ-2 ડેમના રિપેરિંગને કારણે દૈનિક પાણી ઉપાડમાં 25 એમએલડીથી વધુની ઘટ આવતા આ સ્થિતિ નિર્માણ થઇ હોવાનું સામે આવ્યું છે.જો હજુ પણ આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોરબીમાં જળસંકટ ઘેરું બનશે.નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનવા છતાં મોરબી શહેર હજુ પણ પાણીની સુવિધા મામલે નક્કર આયોજન કરી શક્યું નથી.શહેરમાં પાણી વિતરણ માટે એક માત્ર સ્ત્રોત મચ્છુ-2 ડેમ યોજના ઉપર નિર્ભરતાને કારણે ઉનાળાના દિવસોમાં મોરબીની સ્થિતિ ગ્રામપંચાયત જેવી બની હોવાની હકીકત સામે આવી છે. મોરબીમાં ભૂતકાળ બની ગયેલા ટેન્કર ફરી શરુ કરવાની નોબત આવી છે. ખાસ કરીને શહેરના વૃષભનગર, મુનનગર, મદીના સોસાયટી વિશિપરા, લાયન્સનગર, પંચવટી સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, અને અમરેલી ગામ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ થઇ જતા હાલમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, મોરબીની જીવાદોરી મચ્છુ-2 યોજનામાંથી અગાઉ શહેરમાં નિયમિત પાણી વિતરણ માટે દૈનિક 110 એમએલડી પાણી ઉપાડવામાં આવતું હતું. જો કે, મચ્છુ-2 ડેમના પાટિયા બદલવાની કામગીરીને કારણે મચ્છુ-2 ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડી દેવામાં આવ્યા બાદ હાલમાં ડેમમાં રહેલું પાણી નીચે ઉતરી જતા ડેમમાંથી હાલમાં 110 એમએલડી પાણીને બદલે માત્ર 85 એમએલડી પાણી જ ઉપડી રહ્યું હોવાથી 25 એમએલડી પાણીની ઘટ આવી રહી છે.પરિણામે મોરબીના ત્રણ સંપમાંથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અને છેવાડાના વિસ્તારો સુધી પાણી જ પહોંચતું ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા હાલમાં દૈનિક 2થી લઈ 26 ટેન્કર મારફતે વહેલી સવારથી લઇ મોડીરાત્રી સુધી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.પાણી પ્રશ્ને સોમવારે મહિલાઓએ બે કલાક સુઘી કોર્પોરેશન ગજવતાં પોલીસ બોલાવાઇ હતીમોરબી શહેરમાં દિવસે દિવસે પાણી પ્રશ્ન ઘેરો બની રહ્યો છે ત્યારે સોમવારે ઉઘડતી કચેરીએ જ મદીના સોસાયટી અને વિસીપરા વિસ્તારની મહિલાઓ રજુઆત માટે દોડી આવી હતી અને ટેન્કર મારફતે નહિ પાઈપલાઈન મારફતે જ પાણી આપવાની માંગ ઉપર અડગ રહી હલ્લાબોલ મચાવતા અધિકારીઓ પણ થાક્યા હતા અને બે કલાક સુધીની રજૂઆતો બાદ મહિલાઓના ટોળા વિખેરવા પોલીસને બોલાવી પડી હતી. આ પાણી પ્રશ્ન અંગે મહાનગરપાલિકાના પાણી પુરવઠાના અધિકારી પિયુષ મકવાણાએ જણાવ્યું હતું કે આ પ્રશ્ન અંગે રૂબ રૂ તપાસ કરતા રજૂઆત કરવા આવેલ મહિલાઓ માંથી મોટાભગની મહિલાઓના ઘરમાં ગેરકાયદેસર પાણી ના કનેકશન લીધેલા છે. આથી હવે જેટલા આવા ગેર કાયદેસર કનેકશનો હશે તે કટ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અને અહીં અત્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે સાત દિવસમાં ટેન્કરના 70 ફેરા પાણી અપાયુંમોરબીમાં ભાર ઉનાળે બેડાયુદ્ધના પુરાણા દિવસોની યાદ તાજી થઇ રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મચ્છુ-2 ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી શહેર સુધી ન પહોંચતા હાલમાં મોરબીના નગરજનોને ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં શહેરના વૃષભનગર, મુનનગર, મદીના સોસાયટી, વિશિપરા,લાયન્સનગર, પંચવટી સોસાયટી તેમજ અમરેલી ગામમાં છેલ્લા સાત દિવસથી ટેન્કર મારફતે પાણી વિતરણ થાય છે. મહાનગર પાલિકાના સત્તાવાર જણાવ્યા મુજબ હાલમાં દરરોજ બે ટેન્કર મારફતે સવારે 7 વાગ્યાથી રાત્રીના 1 વાગ્યા સુધી અલગ-અલગ વિસ્તારમાં જરુરુત મુજબ ટેન્કરના ફેરા થાય છે.કઈ તારીખે કેટલા ફેરા પાણી વિતરણક્યાં દિવસે કેટલા ટેન્કરના ફેરા ?12 મે - 2614 મે - 0215 મે - 0516 મે - 0717 મે - 1218 મે - 04 19 મે - 14જિલ્લાના છ ગામોમાં પણ ટેન્કરરાજમોરબી શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણીની સમસ્યા વકરતા હાલમાં વાંકાનેર તાલુકાના જેપુર, તરકીયા, ઠીકરીયાળા અને ગુલાબનગર ઉપરાંત માળીયા મિયાણા તાલુકાના મંદરકી અને જાજાસર ગામને એકાંતરા તેમજ દૈનિકના ધોરણે 8 ફેરા પાણી વિતરણ કરવામાં આવતું હોવાનું જિલ્લા પાણી પુરવઠા વિભાગના સત્તાવાર સરકારી આંકડા જણાવી રહ્યા છે.