પતિએ વિદેશ જવા માટે સસરા પાસેથી પાંચ લાખ લઈ આવવાનું કહેતા નવવધુએ અંતિમ પગલું ભર્યુંટંકારા : ટંકારા શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ કરિયાવર મુદ્દે ત્રાસ આપી પતિએ વિદેશ જવા માટે પાંચ લાખની માંગણી કરતા લગ્ન જીવનના ચાર મહિનામાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી ગામની વતની કિંજલબેન વિનોદભાઈ પરમારના લગ્ન ટંકારા શહેરના શુભમ હીરાલાલ પનારા સાથે જાન્યુઆરી - 2025મા જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા. જે બાદ પતિ શુભમને વિદેશ ભણવા જવું હોય કિંજલબેનને તેણીના પિતા પાસેથી રૂપિયા 5 લાખ લાવવાનું કહ્યું હતું. આ મામલે કિંજલબેને તેમના પિતાને વાત કરતા વિનોદભાઈ પરમારે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પૈસા ન હોવાનું કહ્યું હતું.બીજીતરફ કિંજલબેન માવતરના ઘેરથી નાણાંની વ્યવસ્થા ન કરી શકતા પતિ શુભમ સસરા હીરાલાલ કરશનભાઇ પનારા અને સાસુ રિનલબેને કિંજલબેનને કરિયાવર મુદ્દે ત્રાસ આપવાનું શરૂ કરતા આ બાબતે કિંજલબેને પિતા અને ભાઈઓને જાણ કર્યા બાદ ગઈકાલે સવારમાં પોતાના ઘેર ટંકારા ખાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાસરિયાઓએ વિનોદભાઈને બનાવ અંગે જાણ કરતા વિનોદભાઈ નાનજીભાઈ પરમારે પોતાની દીકરીને કરિયાવર મુદ્દે ત્રાસ આપી મરવા મજબુર કરવા અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.