સવારે નવા બસ સ્ટેન્ડથી નગર દરવાજા સુધી મૌન રેલી યોજાશે : અનેક વેપારી મંડળો સવારે 9:30થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો બંધ રાખીને ઘટના સામે વિરોધ નોંધાવશે મોરબી : પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મોરબીમાં કાલે શુક્રવારે અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં અનેક વેપારી મંડળો સવારે 9:30થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો બંધ રાખીને ઘટના સામે વિરોધ નોંધાવશે. આ મામલે વેપારી મંડળની યાદીમાં જણાવાયું છે કે ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા જાય છે અને તેના કારણે સ્થાનિકો લોકોની રોજીરોટી ચાલતી હોય છે. પ્રવાસી ક્યારેય ધર્મ પૂછીને કોઈ ખરીદી કરતા નથી. તેમ છતાં શ્રીનગરના પહેલગામમાં ગત સોમવારે આતંકી હુમલો થયો હતો. જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી આઘાતજનક તો એ વાત રહી કે આ આતંકીઓએ ધર્મ પૂછીને લોકોને પોતાની હેવાનિયતના શિકાર બનાવ્યા હતા. ધર્મ પૂછીને લોકોને ગોળીબારની આ ઘટના સામે દેશભરમાં રોષ ફેલાઈ રહ્યો છે. દેશભરમાં હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાના વિરોધમાં આવા ધાર્મિક કટ્ટર આતંકીઓ વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે અને ઠેર ઠેર આતંકીઓના પુતળા દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મોરબીમાં આવી કાયરતા પૂર્ણ ઘટનાનો વિરોધ થવા લાગ્યો છે. ત્યારે મોરબીના વિવિધ વેપારી મંડળ પણ આ ધાર્મિક કટ્ટરતા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને આવતી કાલે તા. 25ના રોજ સવારના 9 :30 થી બપોરના 2 વાગ્યા સુધી તમામ વેપારીઓ દ્વારા મોરબી બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને મોરબીના હિંદુ સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે અને આવતીકાલે સવારે 9 વાગે મોરબીના નવા બસ સ્ટેન્ડથી મોરબીના નગર દરવાજા સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના તમામ વેપારી મંડળ જેવાકે ખાદ્ય તેલ વેપારી એસોસિએશન,પ્લાસ્ટિક એસોસિએશન, ગેઇન અને સુગર એસોસિએશન, મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન,મોરબી કાપડ મહાજન તથા રેડિમેન્ટ ગારમેન્ટ એસોસિએશન, ફટાકડા એસોસિએશન, પાન બીડી તથા પીપરમેન્ટ એસોસિએશન, સસ્તા અનાજ એસોસિએશન, કટલેરી એસોસિએશન, હોટેલ એસોસિએશન, મંડપ એસોસિએશન, શાક માર્કેટ એસોસિએશન દ્વારા મોરબી બંધનું એલાન આપવામાં આવ્યું છે.