વાંકાનેર : વાંકાનેર તાલુકાની દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ-8ની વિદ્યાર્થિનીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષક તૌસિફભાઈ બાવરાએ બાળકોના જીવનમાં પ્રાથમિક શાળાના શિક્ષણનું મહત્ત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. શાળાના આચાર્ય સતીશભાઈ સરડવાએ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરીને માતા-પિતાનું નામ રોશન કરવાના આશીર્વચન આપ્યા હતા. ધોરણ-8 ના વિદ્યાર્થીઓએ શાળામાં પોતાના યાદગાર પ્રસંગો અને અનુભવોને યાદ કર્યા હતા. શાળા તરફથી ધોરણ-8 ના વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. વિદાય કાર્યક્રમના અંતે શાળા તરફથી વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો.