ઓફિસે તલાટીની ગેરહાજરીના કારણે કલાકો સુધી કતારો જામતી હોવાની રાવમોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામોમાં રોકાયેલા હોવાથી લોકોને વેરો ભરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં લોકોની લાંબી કતારો જામે છે. કલાકો સુધી લોકોને અહીં ઉભા રહેવુ પડે છે. તાજેતરમાં મહેન્દ્રનગર ગ્રામ પંચાયતનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે તલાટી દ્વારા વેરા સ્વીકારવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અહીં તલાટી અનિયમિત હોય છેલ્લા 2થી 3 દિવસથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આજે પણ તલાટી ન હોવાથી લોકોને કલાકો સુધી કતારમાં ઉભું રહેવુ પડ્યું હતું. જો તલાટી કોઈ કામથી બહાર જાય છે તો તેઓ કેટલા વાગ્યે આવશે તે બોર્ડમાં લખતા જાય તો લોકો તેની રાહે અહીં ઉભા ન રહે. આ મામલે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે આજે એક મિટિંગ હતી. તેમાં તલાટી હાજર રહ્યા હતા. જેથી ઓફિસે તેઓ હાજર રહી શક્યા ન હતા. વધુમાં તલાટીને ઓફિસે રેગ્યુલર રહેવા જણાવી દેવામાં આવ્યું છે.