મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાની કમિશનરને રજૂઆત મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતી ડીમોલેશનની કામગીરીમાં ભેદભાવ વાળી નીતિ રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજુઆત કારવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં મોરબી નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો છે. મોરબી શહેરના રોડ-રસ્તા, ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે દબાણ દૂર કરવું એ યોગ્ય છે. જેથી મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી પુરજોશથી ચાલે છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે જે વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી કરવામાં આવેલ છે. તે તમામ વિસ્તારમાં ક્યાંકને ક્યાંક ભેદભાવની નીતિ જોવા મળી રહી છે. જેના કારણે અમુક દબાણો દૂર કરવામાં આવેલ નથી. તેવા તમામ દબાણો પણ દૂર કરવામાં આવશે. પરંતુ આવું શા માટે ? અમુક દબાણોને હટાવી આપ શું સાબિત કરવા માગો છો ? આપ ને વિસ્તારમાં ડીમોલેશન કરો છે. તે વિસ્તારમાં તમામ દબાણો દૂર કરવા જોઈએ. એવું મોરબી શહેરની જનતા ઈચ્છે છે. જેથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણ હોવાનું જાણતા હોવા છતાં જે દબાણો દૂર કરેલા નથી. તે અંગેનો ખુલાસો મોરબી શહેરની જનતા સમક્ષ કરવા તથા તેનો લેખિતમાં પ્રત્યુત્તર આપવા ઘટિત કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.