મોરબીના પંકજભાઈ ઠોરિયાએ પુનરૂત્થાન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત શિક્ષણ પુસ્તકોનો માતબર કિંમતનો સેટ પુસ્તક પરબને ભેટમાં આપ્યોમોરબી : મોરબીમાં દર માસના પ્રથમ રવિવારે પુસ્તક પરબ દ્વારા યોજાતું પરબ ઓમ શાંતિ વિદ્યાલય - મોરબી ખાતે રાખવામાં આવેલ હતું. જેમાં આજે પુસ્તકના ચાહકો માટે પુસ્તક આપ લે ઉપરાંત વંદનાબેન સરડવા દ્વારા ડૉ. શરદ ઠાકર કૃત 'સિંહપુરુષ' પુસ્તક પરિચય અને રસાસ્વાદ કરાવાયો. આ સાથે જ તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જેમના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...' પુસ્તકને 2022ના વર્ષનું બાળસાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે અને સાહિત્યના ક્ષેત્રમાં મોરબીનું નામ ઉજ્જવળ કર્યું છે એવા કવિ સંજય બાપોદરિયા 'સંગી'નું પુસ્તક પરબ ટીમ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.પુસ્તક પરબ જેમ વાંચકો માટે ગમતાં પુસ્તકો પ્રસ્તુત કરે છે એમ સર્જકો માટે પ્રેરણાસ્રોત બની રહ્યું છે. પૂર્વભૂમિકા બાંધતા ટીમના સભ્ય માંહેના મનનભાઈ બુદ્ધદેવ દ્વારા પરબની વિસ્તરતી પ્રવૃત્તિ, પુસ્તક પરિચય અને પ્રાસંગિક સન્માન વિશે વાત કરતા વધુ સર્જનની શુભેચ્છાઓ આપી. પુસ્તકમિત્ર અને પરબ ટીમના ઘનશ્યામભાઈ ડાંગરે પોતાની આગવી શૈલીમાં પુરસ્કૃત પુસ્તકની ઝલક રજૂ કરી. પ્રતિષ્ઠિત તબીબ અને લેખક ડૉ. સતીશ પટેલ દ્વારા કવિ અને કૃતિ ઉપરાંત મોરબીની નોંધ સાહિત્યના ક્ષેત્રમાં લેવાવા લાગી છે એ વિશે ખુશી અને ગૌરવ વ્યક્ત કર્યું. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ આવા સુંદર કાર્યક્રમ બદલ પુસ્તક પરબ ટીમ માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મોરબી જાણીતા લેખક શૈલેષ કાલરીયા, હાસ્યલેખક ડૉ. અમૃત કાંજિયા, યજમાન ૐ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ સંજય વીરડિયા સાહેબ તેમજ સૌ સાહિત્યપ્રેમીઓ હાજર રહ્યાં હતાં.તેમજ મોરબીના પંકજભાઈ ઠોરિયા દ્વારા પુનરૂત્થાન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત શિક્ષણ પુસ્તકોનો માતબર કિંમતનો સેટ પુસ્તક પરબને ભેટમાં આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પુસ્તક પરબ ટીમના સર્વે સભ્યો રાહુલ વ્યાસ, નિશીત સોની, નિનાદ ગઢવી, પારસ પટેલ, મહેશભાઈ, બલદેવભાઈ, આશિષ જીવાણી સહિતના સૌએ ભારે જહેમત ઉઠાવી હતી.