મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા સરકારી દિવાલ પર કરવામાં આવતું રંગ રોગાન કામગીરીને યોગ્ય રીતે સાફ સફાઈ કરીને કરવામાં આવે એવી રજૂઆત તંત્ર અને મહાનગરપાલિકાને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકા બનતા સાથે જ મોરબી મહાનગરપાલિકાના એરીયામાં વિવિધ પ્રકારના કામકાજ શરૂ થઈ ગયાં છે. જે એક સારી બાબત છે. મહાનગરપાલિકા દ્વારા સરકારી દિવાલ અને રેલીંગ પર રંગ રોગાન કામગીરી શરૂ કરી છે જેના લીધે મોરબી મહાનગરપાલિકાના એરીયામાં એક રોનક છવાઇ જવાની છે. પણ આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને મોરબી ઓબીસી વિંગના પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્ર અને મહાનગરપાલિકા ને રજૂઆત કરવામાં આવી છે કે આ રંગ રોગાન કામગીરી કરતા પહેલા દિવાલ અને રેલીંગમાં લાગેલી ધૂળ, માટી, કાંટ, જંક અને કચરો સરખી રીતે સફાઈ થાય અને ત્યારબાદ જ કલરકામ કરવામાં આવે જેથી કરીને રંગ લાંબા સમય સુધી ટકી રહે અને સુંદર દેખાય અને સાથે સાથે મોરબી મહાનગરપાલિકા અને જનતાના ટેક્ષના રૂપિયા ખોટાં વ્યર્થ ન જાય. મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાકટરને આ રંગરોગાનનું કામ આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાકટર દ્વારા સફાઇ વ્યવસ્થિત ન કરે તો તેમનું પેમેન્ટ અટકાવી અને તેમની સામે યોગ્ય રીતે પગલાં લેવામાં આવે તેવી રજૂઆત તંત્ર અને મહાનગરપાલિકાને કરવામાં આવી છે.