વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની દીઘલિયા પ્રાથમિક શાળામાં આજે તા. 28-2-2025 ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત શિક્ષક તૌસિફભાઈ બાવરાએ જીવનમાં વિજ્ઞાનના મહત્ત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય શિક્ષક સતીશકુમાર સરડવાએ ભારતના મહાન વૈજ્ઞાનિક સર સી.વી. રામન અને રામન ઈફેક્ટ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. શિક્ષિકા બહેનો આરઝૂબેન મન્સૂરી અને નુસરતબેન શેરસિયાએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકો વિશે માહિતી આપી હતી.દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શનમાં વિજ્ઞાનના પ્રયોગો માટે ઉપયોગી સાધન સામગ્રી, વૈજ્ઞાનિકોની તસવીરનું પ્રદર્શન, ચાર્ટ, ચિત્રો વગેરેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે, વિજ્ઞાન વિષયમાં રસ અને રુચિ વધે, વિદ્યાર્થીઓ ભારતના મહાન વૈજ્ઞાનિક સર સી.વી. રામન અને રામન ઈફેક્ટ વિશે માહિતી મેળવે તે હેતુથી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ હતી. સી.આર.સી. કૉ.ઑ. જગદીશભાઈ સબાડે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા બદલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.