7 મહિનાના વિલંબ બાદ દિલ્હીથી આદેશ છૂટતા 7 જ મિનિટમાં નવા ફોર્મેટમાં પુત્રનું જન્મ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યુંમોરબી : મોરબીમાં જન્મ પ્રમાણપત્ર નવા ફોર્મેટમાં કાઢી આપવામાં વિલંબ કરનાર સ્થાનિક તંત્ર સામે સામાન્ય વ્યક્તિએ મોરચો માંડીને છેક દિલ્હી સુધી રજુઆત કરતા દિલ્હીથી આદેશ છૂટ્યો હોય, તેઓને તાત્કાલિક નવા ફોર્મેટમાં પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યું છે. મોરબીના હળવદ રોડ ઉપર રહેતા દિવ્યેશભાઈ તિલાવતના પુત્ર રૂદ્રનો જન્મ 01/12/2021ના રોજ થયો હતો. ત્યારે મૂળ જન્મ પ્રમાણપત્રમાં બાળકનું પૂરું નામ સામેલ કરવાની જોગવાઈ ન હતી, જેના કારણે મને જૂના ફોર્મેટનું પ્રમાણપત્ર મળ્યું હતું. બાદમાં તેઓ નવા ફોર્મેટ પ્રમાણેનું પ્રમાણપત્ર મેળવવા માંગતા હતા. જેથી 30/07/2024ના રોજ મોરબી નગરપાલિકા, ખાતે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. સાત મહિના સુધી આ અરજીનો કોઈ પ્રતિસાદ ન મળતાં તેઓએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)માં ફરિયાદ નોંધાવી હતી. NCPCRના રજિસ્ટ્રાર ગોમતી મનોચાએ તાત્કાલિક પગલાં લઇ દિલ્હીથી મોરબી પત્ર મોકલ્યો હતો. જેથી કલેક્ટરે આદેશ કરતા 21/02/2025ના રોજ તેમના બાળક રૂદ્રનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યું. સાત મહિના સુધી અટકેલું કામ દિલ્હીના પત્ર બાદ માત્ર સાત મિનિટમાં થઈ ગયું હતું. વધુમાં અધિક કલેક્ટરે તાલુકા સ્વાગત માટે આ પ્રશ્નને શબ્દબદ્ધ કરવા તાલુકા મામલતદાર, મોરબીને પત્ર લખ્યો. તાલુકા મામલતદારે નગર પાલિકાના પ્રતિનિધિને નાગરિકોને હેરાન ન થાય તે રીતે વ્યવસ્થા કરવા સૂચનો આપ્યા હતા. આ મામલે દિવ્યેશભાઈએ જણાવ્યું કે તેઓના પ્રશ્નનો સ્થાનિક સ્તરે ઉકેલ ન મળતાં આ મુદ્દો દિલ્હી સુધી ગયો, અને ત્યાંથી આદેશે ઝડપી ન્યાય મળ્યો. આ નાગરિક અધિકારોની જીત છે, બંધારણની જીત છે. હું લોકોને અપીલ કરું છું કે જો ખોટી રીતે હેરાનગતિ થતી હોય તો યોગ્ય ન્યાયિક માર્ગ અને યોગ્ય જગ્યાએ ફરિયાદ કરવાથી ન્યાય જરૂર મળે છે. તેમ તેઓની યાદીમાં જણાવાયું છે.