માળિયા (મિયાણા) : માળિયા મિયાણા શહેરના પડતર પ્રશ્નોને લઈને સામાજિક કાર્યકર જુલ્ફીકાર યુ. સંધવાણીએ આજે તારીખ 24 ફેબ્રુઆરીથી મામલતદાર કચેરી પાસે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આજે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી કાઢવામાં આવી હતી અને રેલી બાદ જુલ્ફીકાર સંધવાણી ઉપવાસ પર ઉતર્યા છે. જુલ્ફીકારભાઈ સંધવાણીએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, આજે 24-2-2025ના રોજથી ઉપવાસ શરૂ કર્યા છે. અમે મામલતદાર કચેરીએ આવ્યા છીએ પરંતુ મામલતદરા કચેરીનો કોઈ સ્ટાફ દેખાયો નથી. જનતા આટલી હેરાન થઈ રહી છે છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી. મને કાંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.નિસાર અહેમદ સંધવાણીએ જણાવ્યું હતું કે, જુલ્ફીકારભાઈ સંધવાણીની સાથે સુન્ની મુસ્લિમ સમાજના અન્ય લોકો છે. માળિયા શહેરમાં વિકાસના કામ થતાં નથી. ભૂકંપને 24 વર્ષ થઈ ગયા છતાં બસ સ્ટેશન પણ બન્યું નથી. માળિયા (મિયાણા)નું મોટું જંક્શન હોવા છતાં ટ્રેનો ઉભી રહેતી નથી. જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો અમે પણ ઉપવાસ પર ઉતરીશું.મહત્વનું છે કે, માળિયા (મિયાણા) શહેરને પાયાની સુવિધાઓ ન મળતી હોય. આ ઉપરાંત બસ સ્ટેશનનું ન નિર્માણ, ધોરણ 10 બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ફરીથી શરૂ કરવું, રેફરલ હોસ્પિટલના સ્ટાફના ક્વાર્ટર જર્જરીત હોય તેને પાડી નવા બનાવવા હુકમ કરવો, શહેરની મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું, રેલવે જંક્શન પરથી પસાર થતી તમામ ટ્રેનોનો સ્ટોપ આપવા સહિતની બાબતોને લઈને છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી છે. એક મહિના પહેલા પણ આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 2022માં પણ જુલ્ફીકાર સંધવાણી દ્વારા માળિયાના પ્રશ્નો બાબતે ઉપવાસ કરાયા હતા. જેતે વખતે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ ત્રણ વર્ષ વીતી જવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સામાજિક કાર્યકર જુલ્ફીકાર યુ. સંધવાણી દ્વારા ફરી આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.