મોરબી : 100 Days intensified Campaignનો હેતુ જન ભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. જે અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકો અને આમ દેશવાશીઓમાં પણ ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારતની ભાવના જોવા મળી રહી છે. અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ સાથે તેમને મદદરૂપ થઇ રહ્યા છે.ત્યારે અનેક સેવાકાર્યો કરવા માટે જાણીતી મોરબી સ્થિત રોટરી ક્લબ ઓફ મોરબીએ પણ આજ તા.12-2-2025ના રોજ મોરબીની ટીબી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અને અત્યંત જરૂરિયાતમંદ 11 ટીબીના દર્દીઓને ટીબી ની દવાની સાથે-સાથે દરરોજ પોષણ યુક્ત આહાર લઈ શકે તે તેવા ઉમદા હેતુથી પોષણ યુક્ત રાશન કીટ આપી, તેઓને 12 માસ માટે દત્તક લીધા હતા. આ દર્દીઓને એક વર્ષ સુધી ક્લબ દ્વારા પોષણ યુક્ત રાશન કીટ આપવાની જાહેરાત પણ કરી હતી.આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસીડન્ટ કિશોરસિંહ જી.જાડેજા, હરીશભાઈ શેઠ, અબ્બાસ ભાઈ લાકડાવાલા તથા અશોક ભાઈ મહેતાએ હાજર રહી ઉમદા માનવીય અભિગમ સાથે ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવી તેઓ ટીબી મુક્ત બને તે દિશામાં અન્ય સંસ્થાઓએ, લોકોએ પણ આગળ આવી આ અભિયાનને સાર્થક કરવા સહયોગી બનવા તેમજ ટીબી મુક્ત ભારત બનાવવા અપીલ કરી હતી. સાથે -સાથે હાલ મોરબી જિલ્લામાં તા. 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી 2025 સુધી રક્તપિત જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે જેમાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈન-2025'ની થીમ 'ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત ગ્રસ્ત વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ' અંતર્ગત માનનીય કલેકટર સાહેબએ આપેલ રક્તપિત નાબુદી માટેના સંદેશનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તથા લોકોને રક્તપિત અંગે માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, તાલુકા હેલ્થ ઓફિસર-મોરબી ડો. રાહુલ કોટડીયા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડિયા તથા હેલ્થ સુપરવાઈઝર દિપકભાઇ વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી.