સિરામિકની મંદી પેકેજીંગ ઉદ્યોગ સુધી પહોંચી : દર અઠવાડિયે એક દિવસની બદલે પખવાડિયામાં સોમ-મંગળ-બુધ સળંગ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયોમોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં આવેલી મંદીની અસર હવે તેને લગત અન્ય ઉદ્યોગોમાં જોવા મળી રહી છે. જેને પગલે પેકેજીંગ ઉદ્યોગની એક બેઠક પણ મળી હતી. જેમાં પેકેજીંગ યુનિટો અઠવાડિયામાં બુધવારે બંધ રાખવાને બદલે પખવાડિયામાં સોમ-મંગળ-બુધ આમ સળંગ ત્રણ દિવસ બંધ રાખવાનો અને બોક્સના ભાવમાં 10 ટકાનો વધારો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગ અત્યારે મંદીમાં સપડાયો છે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા બોક્સનું 200 જેટલા પેકેજીંગ યુનિટ નિર્માણ કરે છે. જેમાં 47 જેટલા યુનિટો મોટા છે. પેકેજીંગ ઉદ્યોગમાં પણ અત્યારે મંદી જોવા મળી રહી છે. જેથી આ ઉદ્યોગકારોની એક બેઠક ઉમા રિસોર્ટ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજુભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈ, ભાવેશભાઈ, હાર્દિકભાઈ સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં લેવાયેલા નિર્ણયોમાં તમામ ઉદ્યોગકારોએ સહમતી દર્શાવી છે. હાલ આ ઉદ્યોગો દર અઠવાડિયે બુધવારે બંધ રહે છે. તેને બદલે હવે દર પખવાડિયામાં સોમવાર, મંગળવાર અને બુધવાર એમ સળંગ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરૂગેટેડ બોક્સના ભાવમાં 1 ફેબ્રુઆરીથી 10 ટકાનો વધારો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.આ મામલે પેકેજીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ધીરેનભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું કે સિરામિક પ્રોડક્ટના પેકિંગ ઉપયોગમાં લેવામાં આવતા કોરુગેટેડ બોક્ષ બનાવવા માટે મોરબીની આસપાસના વિસ્તારમાં નાના-મોટા લગભગ 200 જેટલા કારખાના છે. સિરામિક ક્ષેત્રે મંદી છે. ઉપરાંત વેસ્ટ પેપર મળતા ન હોય તેને લીધે પેકેજીંગ યુનિટ મુશ્કેલીમાં મુકાયો છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે મોટાભાગના પેકેજીંગ યુનિટો સંબંધમાં ચાલે છે. આ ઉદ્યોગને 30 દિવસની ઉધારી મળે છે. પણ તેને વધુ દિવસની ઉધારી આપવી પડે છે. વધુમાં આ ઉદ્યોગ અઠવાડિયામાં એક દિવસની રજા તો પાડે જ છે. પણ હવે પખવાડિયામાં બેની બદલે સળંગ ત્રણ દિવસ રજા રાખવાનું નક્કી કરાયું છે. ઉપરાંત પેપરનો ભાવ વધ્યો હોવાથી બોક્સના ભાવમાં પણ 10 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.