માળિયા (મિયાણા) : મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાની ન્યૂ નવલખી પ્રાથમિક શાળાના શાળાપત્ર ‘જિજ્ઞાસા’ મેગેઝીનના પ્રથમ અંકનું ડિજિટલ સ્વરૂપે વિમોચન તા. 23-1-2025 ને શુક્રવારના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતાના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આચાર્ય તથા શાળાને અભિનંદન પાઠવ્યા હતા અને આવા પ્રયાસોથી શિક્ષણ જગતમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાશે, તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, 'જિજ્ઞાસા' શાળાપત્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સિદ્ધાંતોને અનુસરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.‘જિજ્ઞાસા’ શાળાપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરવાનો, તેમને સ્વસ્થ સ્પર્ધા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમની તર્ક ક્ષમતાને વધુ તીક્ષ્ણ બનાવવાનો છે. ‘જિજ્ઞાસામાં NEP 2020ના સિદ્ધાંતોને અનુરૂપ વાર્તાઓ, કોયડાઓ, પ્રશ્નો અને પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં તર્ક, જિજ્ઞાસા અને સ્પર્ધાત્મકતા જેવા આવશ્યક ગુણોને વિકસાવવામાં મદદ કરશે. જે વિદ્યાર્થીઓને જાતે શીખવા અને સમજવા માટે પ્રેરિત કરશે.આ મેગેઝિન ડિજિટલ સ્વરૂપમાં હોવાથી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશે અને તેઓ જ્યાં પણ હોય ત્યાં મેગેઝિનનો લાભ લઈ શકશે. આ પ્રસંગે શાળાના આચાર્ય અને જિજ્ઞાસાના સંપાદક કૈલાશકુમાર વસંતરાય નાટડાએ આ કાર્યને સફળ બનાવવામાં સહકાર આપનાર તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો.