સર્વ સમાજના 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યામોરબી : મોરબીમાં બહેનો દ્વારા ચાલતું એન.જી.ઓ. અન્સ્ટોપેબલ વોરિયર્સ વર્ષ દરમ્યાન અનેક સેવાકીય પ્રકલ્પો કરે છે. એમાંનું એક મહત્વનું કાર્ય એટલે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન. આ સમૂહ લગ્ન કેશવાનંદ બાપુની તપોભૂમિ ખોખરા હનુમાનજી મંદિરે ખાતે યોજાયા હતા. જેમાં 21 દંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્ન સમારોહમાં નકલંકધામ બગથળાના દામજી ભગત, સંઘ ચાલકજી પશ્ચિમ ક્ષેત્ર ડો.જયંતિભાઈ ભાડેસિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, તપનભાઈ દવે, ભાવેશભાઈ કંઝારીયા વગેરે રાજકીય હસ્તીઓ તેમજ નિવૃત ફૌજીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ મહાનુભાવોએ અન્સ્ટોપેબલ વોરિયર્સની પ્રવૃત્તિઓ તેમજ હેતલબેન આંખજા ગરીબોના બેલી બની જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમને બિરદાવી હતી. સમૂહ લગ્નના દાતાઓ તેમજ ઉપસ્થિત તમામ મહાનુભવોનું સાલ ઓઢાડી અને એન.જી.ઓ.ના કાર્યકર્તા બહેનોને શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અર્પણ કરી સન્માન કરાયું હતું. સમૂહ લગ્નના ભોજન સમારંભના દાતા અજયભાઈ લોરીયા હતા અને એમને દાનની સરવાણી વ્હેવડાવતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી અન્સ્ટોપેબલ વોરિયર્સ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન કરશે ત્યાં સુધી પોતે ભોજન દાતા રહેશે. સમગ્ર કાર્યક્રમનું સુચારું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.