સરસ્વતી શિશુમંદિર ખાતે આયોજિત અભ્યાસ વર્ગમાં મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકાના શિક્ષકોને અપાયું માર્ગદર્શનમોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા દર ત્રણ વર્ષે કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે બે દિવસીય અભ્યાસ વર્ગનું સૌરાષ્ટ્ર સંભાગ:- 1ના મોરબી, સુરેન્દ્રનગર,કચ્છ, રાજકોટ, જામનગર,દ્વારકા વગેરે જિલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે કરવામાં આવ્યું. જેમાં ગુજરાત પ્રાંતના મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાંત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી પ્રાંત સહ સંગઠનમંત્રી રમેશભાઈ ચૌધરી, પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ વગેરેની ઉપસ્થિતિમાં અભ્યાસ વર્ગની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી. પ્રથમ દિવસે ચાર સત્રોમાં વિવિધ વિષયો રજૂ કરવામાં આવ્યા. જેમ કે સરસ્વતી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમારે પ્રારંભિક પ્રવચન, ભારતીય શિક્ષણ વ્યવસ્થા, શિક્ષણમાં ભારતીયતા, સામાજીક સમરસતા, પારિવારિક પ્રબોધન, પર્યાવરણ જતન, સ્વ આધારિત સમાજ રચના અને નાગરિક ફરજો વગેરે પંચ પરિવર્તન વિશે વિસ્તૃત વાતો કરવામાં આવી. પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા સંગઠનમાં અભ્યાસ વર્ગનું મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું, ત્યારબાદ જવાબદારી સહ બેઠકમાં જુદા-જુદા ઘટમાં બેસી વિવિધ જવાબદારીઓ નિભાવતા કાર્યકરોને પોતાની જવાબદારી થી વાકેફ કરવામાં આવ્યા. જિલ્લા સહ બેઠકમાં કાર્યકર્તાઓ સાથે સંગઠનના કાર્ય વિસ્તાર વિશે વાર્તાલાપ - ચર્ચા વિચારણા કરી હતી. દ્વિતીય દિવસે પાંચમા સત્રની શરૂઆત પ્રસ્તાવ: 1 'વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા'નું વાંચન સંદીપભાઈ આદ્રોજાએ કર્યું. ત્યારબાદ પ્રાંત સહસંગઠન મંત્રી રમેશભાઈ ચોધરી દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સ્થાપનાથી શરૂ કરી કે.જી.થી પી.જી. સુધી કામ કરતા અને નવ સંવર્ગો ધરાવતા સંગઠનની કાર્યપધ્ધતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી બૌદ્ધિક રજૂ કર્યું હતું. છઠ્ઠા સત્રમાં સૌરાષ્ટ્ર સંભાગના મહિલા મંત્રી મીનાબેન પટેલે સંગઠનમાં મહિલાઓની ભૂમિકા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પ્રાંત અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાત અનિરુદ્ધસિંહ સોલંકીએ પત્ર લેખન અને અધિકારીઓ સાથેનો સંવાદ વિષય પ્રસ્તુત કર્યો હતો. જેમાં એમને તાલુકાથી પ્રાંત સ્તર સુધીનું લેટરપેડ એક સરખું રાખવું, પત્રલેખનમાં સંબોધન,વિષય,સંદર્ભ તેમજ વિષયવસ્તુ વગેરે વિશે વાત કરી અધિકારી, પદાધિકારીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવો વગેરે સમજ આપી હતી. ત્યારબાદ છઠ્ઠા સત્રમાં કાંતિભાઈએ પ્રસ્તાવ: 2 મેરા વિદ્યાલય, મેરા તીર્થ, મારી શાળા મારું તિર્થનું વાંચન કર્યું અને ઉપસ્થિત સૌએ ૐ ના ધ્વનિથી અનુમોદન આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વય સેવક સંઘમાંથી સૌરાષ્ટ્ર સંભાગના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અધારાએ કાર્યકર્તાના ગુણ વ્યવહાર, જુદાં-જુદાં ઉદાહરણો આપી પોતાની આગવી શૈલીમાં બૌદ્ધિક રજૂ કર્યું. ભોજન અવકાશ બાદ સાતમા સત્રમાં ગાગલ સંગઠન મંત્રી રમેશભાઈએ સૌરાષ્ટ્ર સંભાગે મીડિયા મેનેજમેન્ટ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશીયલ મીડિયાનો ઉચિત ઉપયોગ, મહાસંઘ દ્વારા કરવામાં આવતા તમામ કાર્યક્રમો તમામ મીડિયામાં શેર કરી શિક્ષક અને સમાજ સુધી વાતો પહોંચાડવી વગેરે વિષયો વિશે વાત કરી હતી. સમારોહ સત્રમાં રમેશભાઈ ચૌધરીએ બંને દિવસના સાત સત્રોમાં રજૂ થયેલા વિષયો વિશેના બિંદુઓની સમજ આપી સમાપન સત્ર દ્વારા અભ્યાસ વર્ગનું સમાપન કર્યું હતું. અને અંતમાં કલ્યાણ મંત્ર દ્વારા સૌ છુટા પડ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.