નદીના પાણીમાં ફીણના ગોટેગોટા જોવા મળ્યા, જીપીસીબીએ સેમ્પલ લઈ તપાસ શરૂ કરીમોરબી : મોરબીના ગોર ખીજડિયા ગામે ઘુતારી નદીમાં કેમિકલ ભળતા અસંખ્ય માછલીના મોત થયા છે. બીજી તરફ આજુબાજુના ખેતરોમાં પાકને નુકસાન પણ થયું છે. આ મામલે હાલ પ્રદુષણ નિયંત્રણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગેની વિગતો આપતા ગોર ખીજડિયા ગામના સરપંચ ગૌતમભાઈ અર્જુનભાઇ મોરડીયાએ જણાવ્યું કે તેઓના ગામની બાજુમાંથી ઘુતારી નદી નીકળે છે. જેમાં બે દિવસથી કેમિકલ છોડવમાં આવ્યું હોય તેમ પ્રદુષિત પાણી વહી રહ્યું છે. આ બે દિવસમાં ઘણી માછલીઓના મોત થયા છે. ખેતરોમાં હાલ ઘઉં અને જીરૂનો પાક હોય, જે ખેડૂતોએ આ પાણી પિયતમાં આપ્યું તેના પાકને પણ મોટું નુકસાન થયું છે. સરપંચ દ્વારા આ મામલે જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે જીપીસીબીના અધિકારીઓએ આજે ગામમાં આવી પાણીના સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત આજુબાજુમાં આવેલ પેપર મિલ સહિતના કારખાનામાંઓમાં તપાસ કરવામાં આવી છે. વધુમાં સરપંચ દ્વારા જણાવાયુ કે જેને આ કેમિકલ છોડયું છે તે કેમિકલ માફિયા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ છે.