મોરબીની શાન સમાં નહેરૂ ગેટને જોઈને બીગબીએ પૂછ્યું આ શું છે ?, મોરબીના યુવકે જવાબમાં નહેરૂ ગેટનું મહત્વ પણ વર્ણવ્યુંમોરબી : મોરબીની શાન સમા નહેરુગેટની પ્રતિકૃતિ કોઈને ભેટમાં આપવાનો મોરબીવાસીઓનો રિવાજ આજે પણ અકબંધ છે. આ જ ભેટ સદીના મહાનાયક અભિનેતા ગણાતા અમિતાભ બચ્ચન સુધી પણ પહોંચી છે. વાત જાણે એમ છે કે મોરબીના જાહિદ ગનીભાઈ વડાવરિયા જેઓ એક ખાનગી કંપનીમાં જોબ કરે છે. તેઓ તાજેતરમાં કોન બનેગા કરોડપતિ શોમાં ઓડિયન્સ તરીકે બેઠા હતા. જાહિદભાઈનો પરિવાર હાલ મોરબી રહે છે પણ તેઓ પોતે નોકરીના કારણે અનેક જગ્યાએ વસ્યા છે. હાલ તેઓ મોરબી રહે છે અને રાજકોટમાં જોબ હોવાથી અપ ડાઉન કરે છે. વતન પ્રત્યેનો તેમનો પ્રેમ અકબંધ છે. તેઓ KBC શોના ઓડિયન્સ તરીકે બેઠા હતા. તેઓને મોરબી પ્રત્યે લગાવ હોય, એટલે તેઓ અમિતાભ બચ્ચનને નહેરુગેટની પ્રતિકૃતિ આપવા માટે લઈ ગયા હતા. શો દરમિયાન જ્યારે બ્રેક પડી ત્યારે જાહિદભાઈએ અમિતાભ બચ્ચનને બુમ પાડીને કહ્યું કે અમે તમારા માટે એક ખાસ ભેટ લઈને આવ્યા છીએ. ત્યારે અમિતાભ બચ્ચને જવાબમાં કહ્યું કે હા, શો પૂર્ણ થયા પછી હું સ્વીકારીશ. અમિતાભ બચ્ચન શો-પૂર્ણ થયા બાદ તે જ્યાં બેઠા હતા ત્યાં મળવા આવ્યા અને ભેટ જોઈને તેઓએ પૂછ્યું પણ ખરું, કે આ શું છે ? જવાબમાં જાહિદભાઈએ નહેરુગેટ જે રાજાશાહી વખતથી બનાવવામાં આવ્યો છે અને મોરબીની શાન છે તે સહિતનું મહત્વ સમજાવ્યું હતું. બાદમાં પીએ અમિતાભ બચ્ચનની સાથે કારમાં જ આ ભેટ તેમના ઘરે લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે જાહિદભાઈ ઓડિયન્સ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તે શોનું 29 ઓક્ટોબરના રોજ સોની ટીવી ઉપર ટેલિકાસ્ટ કરવામાં આવ્યુ હતું.__________________________________________KBC જેવા શોમાં ઓડિયન્સ તરીકે બેસવાનો મોકો કઈ રીતે મળ્યો ?KBC શોમાં મર્યાદિત સંખ્યામાં જ ઓડિયન્સ હોય છે. ત્યારે આ શોમાં બેસવાનો મોકો કઈ રીતે મળ્યો તે અંગે વિગતો આપતા જાહિદભાઈ જણાવે છે કે તેઓ એક જાણીતી કોલ્ડડ્રિન્ક્સ કંપનીમાં નોકરી કરે છે. આ કંપની શોની સ્પોન્સર હતી. જેથી કંપનીના 10 કર્મચારીઓને આ શોમાં ઓડિયન્સ તરીકે બેસવાનો મોકો મળવાનો હતો. કંપનીએ ડ્રો કરી આવા 10 કર્મચારીઓને પસંદ કર્યા હતા. જેમાં સદનસીબે તેઓનું પણ નામ આવ્યું હતું.__________________________________________