બે બંદરો વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં ટ્રક ચાલતા હોવાથી દૈનિક 3 કરોડના ઇંધણ સાથે સમયની પણ બચત થઈ શકે : મોરબીના સામાજિક કાર્યકરોની મુખ્યમંત્રીને રજુઆતમોરબી : મોરબીના નવલખી બંદરથી કચ્છના કંડલા બંદર સુધી સમુદ્ર સેતુ બનાવીને બન્ને બંદરો વચ્ચેનું અંતર 147 કિમીથી ઘટાડી માત્ર 13 કિમિ કરી શકાય છે. આનાથી મોરબીના ઉદ્યોગોને ઘણો ફાયદો થઈ શકે તેમ છે આ મામલે સ્થાનિક સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. સામાજિક કાર્યકર ભાવિક હરીશભાઈ ભટ્ટ અને હસમુખભાઈ ગઢવીએ રજુઆતમાં જણાવ્યુ છે કે નવલખી બંદર વિકસાવવા માટે તેમજ મોરબી-કચ્છનાં ઉદ્યોગોનાં વિકાસ માટે સમુદ્ર સેતુ બ્રીજ ખુબ જ જરૂરી છે. હાલમાં ગુજરાત રાજય વિકાસની હરણફાળ ભરી રહેલ છે ત્યારે જો આ બ્રીજ બને તો ટ્રાન્સપોર્ટેશન ઝડપી - સરળ કીફાયતી બની રહેશે. મોરબી નગરી સીરામીક –સેનીટેશન - પોલીપેક પેપર મીલ – ઘડીયાળ – નળીયા વિ. ઉદ્યોગોને લીધે વિશ્વભરમાં ખ્યાતી મેળવેલ છે. કચ્છ જીલ્લો પણ ઔદ્યોગીક તેમજ પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ત્યારે નવલખી કંડલા દરિયાઈ માર્ગે સમુદ્ર સેતુ બને તે સમયની માંગ છે. આ બ્રીજ બનવાથી નાગરીક પરીવહન તેમજ માલ પરીવહન સસ્તુ, ઝડપી અને સરળ થશે.અત્યારે નવલખી થી કંડલા BY ROAD જવા માટે ૧૪૭ કિ.મી. નું અંતર કાપવું પડે છે. પણ દરિયાઈ માર્ગે ૧૩ કી.મી. છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ મારી ગણતરી મુજબ ૧૬૦૦/- કરોડ છે. આ માર્ગ બનશે તો કંડલા- નવલખી વચ્ચે દરિયાઈ ૭ ટાપુનો વિકાસ થશે કે જયાં ટ્રાન્સપોર્ટનગર તેમજ સોલાર પેનલ તેમજ પવન ચકકી જેવા પ્રોજેકટ ભવિષ્યમાં થઈ શકશે. પ્રવાસન, ધાર્મિક તેમજ ઔદ્યોગીક વિકાસ થવાની સાથોસાથ અત્યારે સૌથી કિંમતી માનવ સમય તથા ઈધણની બચત અને ફાયદો થશે તેમજ અકસ્માતોનું પ્રમાણ પણ નહીવત થશે.તે ઉપરાંત નવલખી થી કંડલા સમુદ્ર સેતુ જો સાત ટાપુ ઉપરથી બનાવવામાં આવે તો કન્સ્ટ્રકશન કોસ્ટ ઘટાડી શકાય તેમ છે. જો સાત ટાપુ ઉપરથી સમુદ્ર સેતુ બને તો ૫૦ % ટાપુ ઉપર બ્રીજ બને તેમ છે. બાકીનાં ૪૦% જ દરીયાઈ માર્ગ ઉપર બ્રીજ બનશે જેથી બાંધકામ ખર્ચ ઘટી જશે. આમ આર્થિક ખર્ચ પણ ઘટાડી શકાય તેમ છે. જો તજજ્ઞ એન્જીનીયરો દ્વારા ભૌગોલીક પરિસ્થિનો સર્વે થાય તો આ પ્રોજેકટ કાર્યાન્વિત થશે જેથી સમય, ઈધણની બચત થશે તેમજ અકસ્માતો નીવારી શકાશે અને સુરજબારી પુલ ઉપરનું ટ્રાફીક ભારણ પણ ઘટી જશે.વધુમા સર્વે મુજબ કંડલા જવા માટે દૈનિક આશરે 10 હજાર ટ્રક પસાર થાય છે. જો આ ટ્રકોને 147 કિમિ ફરવું ન પડે તો દૈનિક રૂ.3 કરોડના ઇંધણની પણ બચત થઈ શકે તેમ છે.