20 મહિનામાં આયુષ હોસ્પિટલમાં 11,393 દર્દીઓને સારવાર અપાઈ, 34 કરોડથી વધુ રકમ ચૂકવાઈ ગઈ https://youtu.be/vusLxSBWPI0મોરબી : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા માટે તબીબોએ એક સાથે અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખવાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી ગઈ છે ત્યારે મોરબી સહિત અનેકે શહેરમાં બ્રાન્ચ ધરાવતી આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 11,393 દર્દીઓને સારવાર આપી 34 કરોડથી વધુના ક્લેઇમ મંજુર કરવા મામલે કંઈક અજુગતું તો નથી બન્યુંને એવી આશંકાએ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપી જરૂર પડ્યે ગાંધીનગરથી ટીમોને તપાસ માટે બોલાવવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 7786 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિવિધ સારવાર આપી હોસ્પિટલ દ્વારા રૂપિયા 25 કરોડ 19 લાખ 49 હજાર 869ની રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. એ જ રીતે એપ્રિલ 2024થી નવેમ્બર 2024 દરમિયાન આયુષ હોસ્પિટલ દ્વારા 3607 ક્લેઇમ કરી રૂપિયા 13 કરોડ 68 લાખ 28 હજાર 460ની રકમ મળી 20 જ મહિનાના સમયગાળામાં કુલ રૂપિયા 34 કરોડ 86 લાખ 44 હજાર 157ની રકમ મેળવી લેતા સમગ્ર મામલે સવાલો ઉઠાવવામાં આવ્યા છે._______________________________________જો ખોટું થયું હશે તો કડક પગલા લેવાશે, જરૂર પડ્યે તપાસ માટે ગાંધીનગરથી ટિમ બોલાવીશું : કલેકટરબીજી તરફ મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે, ગરીબ માણસ ગંભીર બીમારીની સ્થિતિમાં દેવામાં ન આવી જાય તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી ગરીબ દર્દીઓને 5 લાખ સુધીની સારવાર મળે તે માટે વ્યવસ્થા ગોઠવી છે ત્યારે ગરીબના નામે કૌભાંડ કરવામાં આવે કે ગરીબ દર્દીઓની જાણ બહાર આવી કોઈ કામગીરી કરવામાં આવી હશે તો કોઈને પણ નહીં છોડવામાં આવે તેમ જણાવી મોરબીની આયુષ હોસ્પિટલ મામલે તપાસ શરૂ કરાવી હોવાનું અને જરૂર પડ્યે ગાંધીનગરથી ટીમો બોલાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું._______________________________________હોસ્પિટલમાં અન્ય જિલ્લાના દર્દીઓ પણ આવે છે, સારી સારવાર મળતી હોવાથી દર્દીની સંખ્યા ઉંચી : હોસ્પિટલ ડાયરેક્ટર પીએમજેએવાય અંતર્ગત 20 મહિનામાં 11,393 ક્લેઇમ કરનાર આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.ચેતન અઘારાએ જણાવ્યું હતું કે, તેઓની હોસ્પિટલમાં વિવિધ 26 ફુલટાઇમ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો છે,અહીં જિલ્લામાં કાર્ડિયોલોજી, ન્યુરો સર્જરી, યુરો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી ઉપલબ્ધ નથી. એટલે પેશન્ટ અને ક્લેમ વધુ છે. પ્લાસ્ટિક સર્જરીમાં અન્ય જગ્યાએ આ યોજના હેઠળ કામ થતું નથી. પણ અહીં થાય છે. સાથે જ દર મહિને 600 જેટલા ડાયાલીસીસ કરવામાં આવે છે જેથી ક્લેઇમનો આંકડો મોટો દેખાય છે. હકીકતમાં અહીં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાનું તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે દેશનું પ્રથમ ઓપરેશન પણ મોરબીમાં જ થયું હોવાનું જણાવી ક્લેઇમની સંખ્યા અંગે કોઈ જ શંકા ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું._______________________________________પેશન્ટને વધુ સુવિધા મળતી હોય ત્યાં જતું હોય છે, છતાં તપાસ કરીશું : જિલ્લા આરોગ્ય અધિકારી આયુષ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં પીએમજેએવાય અંતર્ગત સારવાર અંગે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે શ્રીવાત્સવે જણાવ્યું હતું કે, સારી હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળતી હોય તો વધુ દર્દીઓ ત્યાં સારવાર માટે જાય તે સ્વાભાવિક વાત છે, જો કેમ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત હોસ્પિટલની મુલાકાત લેવામાં આવતી હોવાની સાથે ક્લેઇમની મોટી સંખ્યા અંગે તપાસ કરવામાં આવશે તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું._______________________________________