પુસ્તક પરબમાં સેલ્ફી પૉઈન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. જે અંતર્ગત તા. 1-12-2024 ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 કલાક દરમ્યાન વાંકાનેરમાં આવેલા પુલ દરવાજા ખાતે સ્ટેચ્યૂ પાસે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, ડૉ.નવીનચંદ્ર સોલંકી, દર્શનાબેન જાની, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ.ડાહ્યાલાલ પરબતાણી દ્વારા પુસ્તક પરબ યોજવામા આવ્યું હતું. આ પુસ્તક પરબમાં વાંકાનેર તાલુકાના નાયબ મામલતદાર મન્સૂરી સાહેબ, ગઢવી સાહેબ, નિવૃત્ત મામલતદાર એ.બી.પરમાર, જુના ઢુવા તાલુકા શાળાના આચાર્ય યુવરાજસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા પંચાયત કચેરીના નાયબ હિસાબનીશ આશિષભાઈ મકવાણા સાહેબે પુસ્તક પરબની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પુસ્તક પરબની કામગીરીને બિરદાવી હતી.પુસ્તક પરબની ટીમના સભ્યો દ્વારા તેઓનું ફૂલહાર અને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પુસ્તક પરબની આ સેવાકીય પ્રવૃત્તિમાં આજે દિવ્યરાજસિંહ ઝાલા, વશરામભાઈ જેજડિયા અને રસિકભાઈ ખોરજા સ્વયંસેવક તરીકે જોડાયા હતા. વાંકાનેર તાલુકાના અનેક લોકોએ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી અને વાંચવા માટે નિઃશુલ્ક પુસ્તકો મેળવ્યા હતા. પુસ્તક પરબ ટીમ દ્વારા બનાવવામાં આવેલા સેલ્ફી પોઈન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પુસ્તક પરબમાં નવલકથાઓ, બાળવાર્તાઓ, કાવ્યસંગ્રહો, ધાર્મિક પુસ્તકો, વિજ્ઞાનકથાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, વિવિધ સામયિકો નિઃશુલ્ક વાંચવા માટે આપવામાં આવે છે.