જલારામ બાપાની જન્મજયંતીએ મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે પંચવિધ કાર્યક્રમો ઉજવાશે

- text


પ્રભાતધૂન, અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી : સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિ આવી રહી છે. દેશ-વિદેશના ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી તારીખ 8 નવેમ્બર ને શુક્રવાર કારતક સુદ સાતમના રોજ પૂ.જલારામબાપાની 225મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સવારે 6 કલાકે પ્રભાતધૂન, 10 કલાકે અન્નકૂટ દર્શન, બપોરે 11-30 કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે 12 કલાકે મહાઆરતી, 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતીના પાવન પર્વ નિમિત્તે અતિથિ વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રિત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામાં આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદ પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરિક વિકલાંગ આત્મનિર્ભર મહિલાઓ, અગીયારમાં વર્ષે ફાયર બ્રિગેડના જવાનો, બારમા વર્ષે હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્વારા, ગત વર્ષે પીજીવીસીએલના વાયરમેનના હસ્તે કેક કટીંગ કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યક્તિઓને અતિથિ વિશેષ તરીકે સ્થાન આપી તેમના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતી ઉજવવામાં આવશે.

- text

આમંત્રિત વિશેષ વ્યક્તિઓનું નામ સરપ્રાઈઝ રાખવામાં આવ્યું છે. જે જલારામ જયંતીના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમમાં સર્વજ્ઞાતિય જલારામ ભક્તોને પધારવા રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી અને શ્રી જલારામ સેવા મંડળ- મોરબીના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે.

- text