વૈશ્વિક એકતા માટે આશાનું પ્રતીક એટલે સંયુકત રાષ્‍ટ્ર સંઘ

- text


૨૪ ઓકટોબર : સંયુકત રાષ્‍ટ્ર સંઘ દિવસ : જાણો.. યુનાઇટેડ નેશન્‍સની સ્થાપનાનો ઈતિહાસ

મોરબી : સંયુકત રાષ્‍ટ્રસંઘ દિવસની ઉજવણી સમગ્ર દુનિયા અને ભારત દેશમાં ૨૪ ઓકટોબરના રોજ કરવામાં આવે છે. જે નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમો અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં રાષ્‍ટ્રધ્‍વજની સાથે સંયુકત રાષ્‍ટ્રસંઘનો ધ્‍વજ પણ ફરકાવવામાં આવશે.

વૈશ્વિક એકતા માટે આશાનું પ્રતીક એટલે સંયુકત રાષ્‍ટ્રસંઘ. સંયુકત રાષ્‍ટ્રસંઘ એક એવી જગ્યા છે કે જ્યાં વિશ્વના રાષ્ટ્રો એકસાથે ભેગા થઈ શકે, સામાન્ય સમસ્યાઓની ચર્ચા કરી શકે અને ઉકેલ શોધી શકે. યુનાઇટેડ નેશન્‍સના સભ્‍ય દેશોમાં દર વર્ષે ૨૪ ઓકટોબરના રોજ યુનાઇટેડ નેશન્‍સ ડે (સંયુકત રાષ્‍ટ્રસંઘ દિવસ)ની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં ૧૯૩ દેશો આ સંસ્થાના સભ્યો છે.

એલ.પી.જી. અર્થાત લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્‍લોબલાઇઝેશનના આ સમયમાં આર્થિક સદ્ધરતા સામે અન્‍ય બાબતો ગૌણ બની જતાં વિશ્વમાં મહદ્દઅંશે શાંતિનું સામ્રાજય જોવા મળે છે. પરંતુ વર્ષ ૧૯૧૩ અને વર્ષ ૧૯૩૯ના વિશ્વયુદ્ધો બાદ સમગ્ર વિશ્વમાં હિંસા, આતંક અને હિંસાના વાતાવરણ વચ્‍ચે વિશ્વના અગ્રણી દેશોના વડાઓએ એકઠા થઇ સંયુકત રીતે એક એવી સંસ્‍થા સ્‍થાપવાનું નક્કી કર્યું કે જે વિશ્વમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ સ્‍થાપવાના પ્રયાસોમાં મદદરૂપ થાય અને તેનું એક અલગ બંધારણ પણ હોય. જેથી, દેશો વચ્ચેના વિવાદમાં તે મધ્‍યસ્‍થીની ભૂમિકા ભજવી શકે. આ હેતુઓની પૂર્તિ માટે ઇ.સ. ૧૯૪૫ની ૨૪ ઓકટોબરે સંયુકત રાષ્‍ટ્રસંઘની સ્‍થાપના કરવામાં આવી હતી.

- text

સંયુકત રાષ્‍ટ્રસંઘ દિવસની ઉજવણી વિવિધ રાષ્‍ટ્રોમાં વિવિધ પ્રકારે કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્‍સના જીનિવા સ્‍થિત બિલ્‍ડીંગના જનરલ એસેમ્‍બલી હોલમાં આ દિવસે યુ.એન.ના જનરલ સેક્રેટરી સભ્‍ય દેશોના વડાઓ અને પ્રતિનિધિઓની સભાને સંબોધે છે. તેમની ગેરહાજરીમાં તેમના સંદેશાનું પઠન કરવામાં આવે છે. યુ.એન.ના સભ્‍ય દેશોની શાળાઓમાં ચર્ચાસભા, શાંતિયાત્રા, નિબંધ સ્‍પર્ધા, વકતૃત્‍વ સ્પર્ધા, ચિત્ર સ્‍પર્ધા વગેરે વિવિધ માધ્‍યમો દ્વારા એવો સંદેશો ફેલાવવામાં આવે છે કે સમગ્ર વિશ્વ આપણાં તમામ લોકોનું છે, જેમાં માનવહકોની જાળવણી, હિંસા અને અત્‍યાચારને દેશવટો તથા સંવાદ અને સહકાર દ્વારા શાંતિમય વિશ્વનું નિર્માણ આપણે એક થઇને કરવાનું છે.

- text