મોરબી જિલ્લામાં 10 દિવસમાં 5 મર્ડર, કાયદો-વ્યવસ્થા કથળ્યા : કોંગ્રેસની ગૃહમંત્રીને રજુઆત

- text


મોરબી : મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેમ લાગી રહયું છે. મોરબી જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં પાંચ મર્ડરના બનાવ પ્રકાશમાં આવ્યા છે. મોરબી જીલ્લામાં લોકોને પોલીસનો ડર જ ન હોય તેમ લોકો મર્ડર કરી રહયા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોતા મોરબી જીલ્લો જાણે બિહારમાં પરિવર્તિત થઈ રહયો હોય તેવું લાગી રહ્યું છે. તેવા આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ ગૃહમંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે હજુ થોડા સમય પહેલા ૨૪ કલાકમાં આવી ચાર ઘટનાઓ બનેલ હતી. જે અંગે રજુઆત પણ કરેલ હતી પણ મોરબી જીલ્લામાં માણસ મારવું કે કુતરુ મારવું બંને સરખું બની ગયું છે. મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી મર્ડર, ચોરી, લુંટ, ખનીજ ચોરી, વ્યાજખોરી, દારૂ તથા નશાકારક પદાર્થોનું સેવન કરતા લોકોનું પ્રમાણ ખુબ જ પ્રમાણમાં વધી ગયેલ છે. પોલીસ ખાતુ તો જાણે મોરબીમાં કશુ બનતું જ ન હોય તેમ વર્તી રહી છે અને આવી પ્રવૃતિઓ કરનાર લોકોને તો જાણે પોલીસ ખાતુ પ્રોત્સાહન આપી રહ્યું હોય તેમ લાગી રહયું છે.

- text

મોરબી જીલ્લામાં મર્ડર, ચોરી, લુંટ, ખનીજ ચોરી, વ્યાજખોરી, દારૂ તથા નશાકારક પદાર્થોનું સેવન કરતા લોકોનો ધંધો રાજકીય ઓથ હેઠળ જોરશોરથી ચાલી રહયો છે. જેમાં રાજકીય નેતાઓ તથા પોલીસ ખાતુ મદદગાર હોય તેવું જણાય રહયું છે. જો આજ પરિસ્થતિ રહેશે તો મોરબીમાંથી મિરજાપુર થતાં વાર નહી લાગે અને મોરબીની જનતાનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠી જશે.

જેથી આ બાબતે ગંભીર નોંધ લઈ પ્રામાણિક અને નિષ્ઠાવાન વાઈટ કોલર પોલીસ અધિકારીની નિમણુંક કરી મોરબી જીલ્લાને આવી ગુન્હાહિત પ્રવૃતિઓમાંથી મુક્ત કરવા, ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી શહેર અને જીલ્લાના લોકો વતી માંગણી છે.

- text