વિશ્વભરના પ્રવાસીઓ માટે ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ટૂરિઝમ’ બનતું ગુજરાત

- text


૨૭મી સપ્ટેમ્બર – વિશ્વ પ્રવાસન દિવસઃ આ વર્ષની થીમ છે ‘પ્રવાસન અને શાંતિ’

વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વના સૌથી સુંદર સાત મ્યુઝિયમમાં સ્થાન પામેલું સ્મૃતિવન ભૂકંપ સ્મારક, દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેડેડ બ્રિજ દ્વારકાનો સુદર્શન સેતુ દેશ -વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર

મોરબી : દુનિયાના વિવિધ દેશોમાં ૨૭મી સપ્ટેમ્બર ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ ‘જવાબદાર તથા ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન’, ‘વૈશ્વિક સમજ કેળવવી તેમજ સંસ્કૃતિના વારસા અને વૈવિધ્યને પ્રોત્સાહન આપવાનો’ છે. સન ૧૯૮૦થી દર ૨૭મી સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ-૨૦૨૪ના પ્રવાસન દિવસની થીમ છે ‘‘પ્રવાસન અને શાંતિ’’.

પ્રવાસ માત્ર મનોરંજન, આનંદ, શૈક્ષણિક હેતુ માટે જ નહીં, ધંધા-રોજગાર, મેડિકલ, સામાજિક, ધાર્મિક, અધ્યાત્મ-આત્મ ખોજ સહિત અનેક કારણોસર થતો હોય છે. પ્રવાસનની આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા છે. તે રોજગારીનું સર્જન કરે છે, જ્ઞાન-અનુભવમાં વૃદ્ધિ કરે છે, સાંસ્કૃતિક-સામાજિક એકતાને દ્રઢ બનાવે છે. વિશ્વના અનેક દેશો અને પ્રાંતો ટૂરિઝમ પર નભે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસનની તાકાત પારખતા, ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાળના સમયથી જ પ્રવાસનને વ્યાપક પ્રોત્સાહન આપ્યું છે. નરેન્દ્રભાઈએ વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી (૧૮૨ મીટર ઊંચાઈ)નો પાયો નાખવાથી લઈને મહાત્મા મંદિર સહિત અનેકવિધ પ્રવાસન સ્થળોનો વિકાસ કર્યો છે. તેમાંયે કચ્છમાં ધોરડો ખાતે સફેદ રણમાં શરૂ કરાવેલો ‘‘રણોત્સવ’’ આજે દેશ-વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે. ઉપરાંત બુદ્ધિસ્ટ સર્કિટ, ગાંધી સર્કિટ તેમજ હવે તો કૃષ્ણ સર્કિટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

વડાપ્રધાનએ આ વર્ષના ફેબ્રુઆરીમાં દ્વારકા તથા બેટ દ્વારકાને જોડતા આધ્યાત્મિક સેતુ સમાન ૨૩૦૦ મીટર લાંબા અને રૂ.૯૭૮ કરોડથી વધુના ખર્ચે કેબલ સ્ટેડેડ બ્રિજ ‘સુદર્શન સેતુ’ને જનતાને સમર્પિત કર્યો હતો. આ બ્રિજ દ્વારકા આવતા દેશ-વિદેશના સહેલાણીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે. ઉપરાંત વડાપ્રધાનએ વર્ષ ૨૦૨૨ના ઓગસ્ટમાં ભુજમાં ૨૦૦૧ના ભૂકંપના દિવંગત નાગરિકોના સ્મરણમાં વૈશ્વિક કક્ષાના ‘સ્મૃતિવન ભૂકંપ સ્મારક’નું લોકાર્પણ કર્યું હતું. યુનેસ્કો દ્વારા દર વર્ષે આર્કિટેક્ચર અને ડિઝાઈનના ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ‘પ્રિક્સ વર્સેઈલ્સ’ એવોર્ડ જાહેર કરાય છે. જે અંતર્ગત ભુજના સ્મૃતિવનને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે.

નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પ્રવાસનને વેગ આપવા બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા હતા. બચ્ચને ‘‘કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં’’ કરેલી અપીલે અનેક લોકોને ગુજરાતમાં આકર્ષ્યા છે. પ્રવાસન થકી રોજગારીના સર્જન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને પોતાની ક્ષમતા મુજબ, પરિવાર સાથે નાનો-મોટો પ્રવાસ કરવા અને ‘લોકલ ફોર વોકલ’ અભિયાનને પ્રોત્સાહન માટે સ્થાનિક લોકો પાસેથી વસ્તુઓ ખરીદવા પણ અપીલ કરેલી છે.

- text


 

પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ હાંસલ કરેલી છે.

– કચ્છમાં આવેલા ધોરડો (રણોત્સવ) ગામે વર્ષ ૨૦૨૩માં, સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન (યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન – UNWTO)નો ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો ખિતાબ જીત્યો હતો. વિશ્વભરના ૫૪ ઉત્તમ ફરવાલાયક સ્થળોમાં ધોરડોએ સ્થાન હાંસલ કર્યું છે.
– ઈન્ડિયા ટૂડેના સર્વે અને એવોર્ડ-૨૦૨૩માં કાળીયાર રાષ્ટ્રીય અભયારણ્યે ઈમર્જિંગ ડેસ્ટિનેશન એવોર્ડ (વાઇલ્ડ લાઈફ) જીત્યો છે. જ્યારે રાણીની વાવે હેરિટેજ ડેસ્ટિનેશન એવોર્ડ જીત્યો છે. આ જ સર્વે અને એવોર્ડમાં સાસણગીરે વાઇલ્ડ લાઇફ ડેસ્ટિનેશન એવોર્ડ અંકે કર્યો છે.
– ગુજરાત રાજ્યમાં ચાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ આવેલી છે, જે રાજ્યના સમૃદ્ધ ઐતિહાસિક વારસા અને પ્રવાસનના પ્રતીક સમાન છે.
– ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરાયું હતું. એ પછી વર્ષ ૨૦૧૪માં પાટણ જિલ્લામાં આવેલી રાણીની વાવ, વર્ષ ૨૦૧૭માં અમદાવાદ શહેરને હેરિટેજ સિટી તેમજ વર્ષ ૨૦૨૧માં કચ્છમાં આવેલા આશરે પાંચ હજાર વર્ષ પુરાતન નગર ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરાયેલું છે.
– રાષ્ટ્રીય પ્રવાસનના આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૨૨માં ગુજરાત વિદેશી પ્રવાસીઓ મામલે ૧૨મા સ્થાને તથા સ્થાનિક પ્રવાસીઓ મુદ્દે ૯મા સ્થાને રહ્યું છે. નવેમ્બર ૨૦૨૩ સુધીમાં અંદાજે ૧૫ કરોડ ૨૨ લાખ જેટલા મુસાફરોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૨૨માં આ આંકડો ૧૩ કરોડ ૭૬ લાખ જેટલો હતો.


આજે ભારતના વાઘા બોર્ડર સીમાદર્શનની જેમ ગુજરાતનું ‘નડાબેટ સીમાદર્શન’ પ્રવાસીઓમાં ફેવરિટ બન્યું છે. તેનાથી પ્રેરાઈને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરેના વિકાસ માટે સરકારે રૂ.૧૪૫ કરોડના આયોજન પૈકી રૂ.૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ આ વર્ષના ફેબ્રુઆરી માસમાં, દેશમાં પહેલીવાર કચ્છના કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારથી સમુદ્રી સીમાદર્શનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. આ રીતે બોર્ડર ટૂરિઝમને પણ રાજ્યમાં વેગ અપાઈ રહ્યો છે.

ગુજરાતમાં ‘વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટૂરિસ્ટ પિલ્ગ્રિમેજ’ તરીકે ઉત્તર ગુજરાતના અંબાજી-ધરોઈ- તારંગા વડનગર વિસ્તારને વિકાસવામાં આવી રહ્યા છે. જેનાથી પ્રવાસન ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારીના સર્જનની સાથે સાંસ્કૃતિક ધરોહરનું સંરક્ષણ અને વિકાસ પણ થશે. ત્યારે એવું કહી શકાય કે ગુજરાત આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ટૂરિઝમ’ બની રહ્યું છે.


- text