મોરબીની લજાઈ ચોકડીથી હડમતીયા, વાંકાનેરથી હડમતીયા તરફ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

- text


પાલણપીરના મેળા અન્વયે ટ્રાફિક નિયંત્રણ માટે 26 થી 29 સપ્ટેમ્બર દરમ્યાન જાહેરનામું અમલી

મોરબી : મોરબી જિલ્લામાં હડમતીયા ગામે શ્રી પાલણપીર મંદિર ખાતે ભાદરવી વદ નોમ, દશમ અને અગિયારસ એટલે કે તા. 26-9-2024થી તા.29-9-2024 દરમિયાન મેઘવાળ સમાજ દ્વારા પૌરાણિક મેળો યોજાતો હોય છે. આ મેળામાં અંદાજિત 5000 માણસો એકઠા થઈ આ દિવસો દરમિયાન ત્યાં જ પોતાની ધાર્મિક વિધિ કરતાં હોય છે. આ વિસ્તારમાં જીઆઇડીસી વિસ્તાર પણ આવેલ હોવાથી અને ભીડભાળ વધુ રહેતી હોવાના કારણે મેળામાં ટ્રાફિકની સમસ્યાની સંભાવના રહે છે. જેથી લજાઈ ચોકડીથી હડમતીયા તરફ જતા તથા વાંકાનેરથી હડમતીયા તરફ આવતા ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર લજાઈ ચોકડીથી હડમતીયા તરફ જતા તથા વાંકાનેરથી હડમતીયા તરફ આવતા ભારે વાહનોને આ રોડ પર તા. 26-09-2024 ના રોજ સવારે 8 કલાકથી તા. 29-09-2024 ના રોજ બપોરના 2 કલાક સુધી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ રસ્તાના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લજાઈ ચોકડી તરફથી જતા ભારે વાહનો મીતાણા ચોકડીથી બાલાસણ ગામ, પીપળીયારાજ, અમરસર થઈને વાંકાનેર શહેર તરફ જઈ શકશે

- text

લજાઈ ચોકડી તરફથી જતા ભારે વાહનો શકત સનાળાની રાજપર ચોકડીથી ઘુનડા સજનપર, જડેશ્વર, રાતીદેવડી થઈ વાંકાનેર શહેર તરફ જઈ શકશે. વાંકાનેર તરફથી આવતા ભારે વાહનો અમરસર, પીપળીયારાજ, વાલાસણ, મીતાણા ચોકડી તરફથી આવી શકશે. વાંકાનેર તરફથી લજાઈ આવતા ભારે વાહનો રાતીદેવડી, જડેશ્વર, સજનપર, ઘુનડા, શકત સનાળા, રાજપર ચોકડી તરફ આવી શકશે.

આ જાહેરનામાની અમલવારીમાંથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના સાધનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પીજીવીસીએલના વાહનો, સબ વાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ કોલેજના વાહનો, સામાજિક – ધાર્મિક પ્રસંગને લગતા ભારે વાહનો, આવશ્યક ચીજ વસ્તુ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

- text