દસ દિવસ સુધી આરધાના બાદ હવે વિદાયની ઘડી આવી પહોંચી

- text


મોરબી આજે ગણેશજીની પ્રતિમાઓનું સામુહિક વિસર્જન કરાશે

પાલિકા 4 જગ્યાએ ગણેશજીની મૂર્તિઓ એકત્રિત કરી વિસર્જિત કરશે

મોરબી : મોરબીમાં મોંઘેરા મહેમાન ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના બાદ દસ દસ દિવસ ભક્તિભાવથી પૂજા અર્ચના અને આરાધના કરવા લોકો તલ્લીન બન્યા બાદ હવે મોંઘેરા મહેમાનની વિદાયની ઘડી આવી પહોંચી છે. આજે ગણેશ વિસર્જન દરમિયાન અનઇચ્છનીય ઘટના નિવારવા માટે મોરબી નગરપાલિકા દ્વારા આજે ગણેશ વિસર્જનનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.અને ચાર જગ્યાએ પ્રતિમાઓ એકત્ર કરી પીકનીક સેન્ટર ખાતે સામુહિક વિસર્જન કરાશે.

મોરબીમાં ગણેશ મહોત્સવમાં ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાની કરુણ ઘટના બનતી હોય વિધ્નહર્તાના કાર્યમાં આવું વિઘ્ન નિવારવા માટે આજે મોરબી નગરપાલિકા દ્વારા જ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ચાર નિયત સ્થળો સ્કાય મોલ પાસેના ગ્રોઉન્ડમાં, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરવામાં આવશે અને ગણેશજીની મૂર્તિઓને એકત્ર કરીને શોભેશ્વર રોડ પર આવેલ પીકનીક સેન્ટર ખાતે નગરપાલિકાના સ્ટાફ તેમજ તરવૈયા અને જેસીબીની મદદથી વિસર્જન કરવામાં આવશે.


પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 200 જેટલી મૂર્તિઓનું વિસર્જન કર્યું

ગણેશોત્સવ દરમિયાન ભક્તજનો દ્વારા ત્રણ, પાંચ, સાત અને નવ દિવસ એમ અલગ અલગ આયોજન કરવામાં આવતા હોય ત્યારે રવિવાર સુધીમા પાલિકા દ્વારા 200 જેટલા ગણપતિઓનું પીકનીક સેન્ટર ખાતે આવેલ 20 ફૂટ ઊંડા અને 30 ફૂટ લાંબા કુત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું છે


ગણેશ વિસર્જન માટે પાલિકા દ્વારા 60 નો સ્ટાફ ખડેપગે રહેશે

ગણેશ વિસર્જન માટે પાલિકા દ્વારા ચાર જગ્યાએ મૂર્તિ એકત્રિત કરાવમાં આવશે અને આ મૂર્તિઓને પાલિકાની ટિમ દ્વારા વિસર્જન સ્થળે લઇ જવામાં આવશે. આ માટે પાલિકાએ તરવૈયાની ટીમ સહીત 60 જેટલો સ્ટાફ ફાળવ્યો છે આ ઉપરાંત 10 ટ્રેકટર, 2 જેસીબી સહિતના સાધનો પણ રાખવામાં આવ્યા છે.

- text


- text