હળવદના કીડી ગામે રોગચાળો ! 15 દિવસમાં 3 બાળકોના મોત

- text


ગંદકી અને પાણી જન્ય રોગચાળાને કારણે અન્ય 17 બાળકો સારવારમાં

હળવદ : હળવદ તાલુકાના કીડી ગામમા કચ્છ જેવા ભેદી રોગચાળાએ ભરડો લીધો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના મોત થયા છે જ્યારે અન્ય સત્તર જેટલા બાળકો હાલ સારવારમાં હોવાની માહિતી મળી રહી છે.

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચક્યું હોય તેમ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે હળવદ તાલુકાના કીડી ગામે ભેદી રોગચાળાએ અજગર ભરડો લીધો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના બીમારીના કારણે મૃત્યુ થયા છે.જોકે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બે બાળકોનું અન્ય બીમારી તેમજ એક બાળકનું તાવના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે હાલ ગામમાં 17 જેટલા બાળકો બીમાર હોય અને ઘરે જ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુમાં હળવદના કીડી ગામની વસ્તી 1700 ની છે જેથી નાના એવા ગામમાં પંદર દિવસમાં ત્રણ બાળકોના મૃત્યુ થતાં ગામમાં પણ ફફરાટ ફેલાયો છે.ગત તારીખ 28/8 ના રોજ આશિષ ઉંમર વર્ષ 11 નું મૃત્યુ થયું હતું જ્યારે 10-9-2024 ના રોજ જેન્સી ઉમર વર્ષ 2 અને 12/9/ 2024 ના રોજ ભાવેશ ઉંમર વર્ષ 10 નું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

- text

મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી બાવરવાએ પણ ત્રણ બાળકોના મૃત્યુની ઘટનાને સત્ય ગણાવી એક બાળકનું મેળામાં પડી જવાથી, બીજા એક બાળકને ગળામાં ટોન્સિલ અને ત્રીજા બાળકનું તાવની બીમારી બાદ મૃત્યુ નિપજતા હાલમાં છેલ્લા બે દિવસથી કીડી ગામના આરોગ્ય વિભાગે સર્વેક્ષણ શરૂ કર્યું છે અને વાદળીયા વાતાવરણને કારણે રોગચાળો વધ્યો હોવાનું જણાવ્યું હતું. નોંધનિય છે કે, હાલમાં નાના મોટા 17 થી વધુ બાળકો હાલમાં બીમારીના ખાટલે પડ્યા છે ત્યારે નાના એવા ગામમાં ત્રણ – ત્રણ બાળકોના મૃત્યુ બાદ ગ્રામજનો ચિંતિત બન્યા છે.

- text