અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન મોરબી : મકનસર અને બંધુનગરના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અવાર-નવાર ચોમાસામાં પાણી ભરાઈ જવાની રજૂઆત કરવામાં આવે છે. જેના કાઈને ચોમાસાના વરસાદથી ગામમાં આવન- જાવન બંધ થઈ જાય છે. ત્યારે આ અંગે અનેક વખત નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેમને આ સમસ્યા દૂર કરવામાં જરાય રસ નથી તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.આ સમસ્યાનો ઉકેલ ગ્રામજનોએ અનેક વખત તેમને બતાવ્યો પણ વરસાદ બંધ થાય પછી કરી નાખી એવો જ લોલીપોપ કેટલા વર્ષોથી આપવામાં આવે છે. દર વર્ષે અહી મોટો ખાડો પડ્યો છે જેમાં દર વર્ષે અનેક રાહદારીઓની પડી જવાની ઘટનાઓ બને છે. પણ તંત્ર કોઈનો જીવ લેવાની રાહ જોઈ રહ્યું એવું લાગી રહ્યું છે. આ સમસ્યાની રજૂઆત વર્તમાન ધારાસભ્યને પણ કરી છે. તેમના દ્વારા પણ તેમાં જરાય રસ દાખવવામાં આવ્યો નથી. ત્યારે આટલો મોટો ટોલ ટેકસ ઉઘરાવવા છતાં તે કેમ કામ નથી કરતું ? શું તેને માત્ર ટોલટેક્ષ ઉઘરાવવામાં જ રસ છે ? વગેરે જેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે. મકનસર અને બંધુનગરના ગ્રામજનોની વ્યથા એ છે કે હવે રજૂઆત કોને અને કેટલી વખત કરવી ? ગ્રામજનો પણ રજૂઆત કરી કરી કંટાળી ગયા છે. પણ તંત્રને પેટમાં પાણી નથી હલતું. જો આ સમસ્યાનો અંત નહિ આવે તો ગ્રામજનો ચોક્કસથી ઉગ્ર આંદોલન કરશે અને રસ્તા પર ઊતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.