લાડવા-ગાંઠીયા, સુખડી, ભાત, પુરી, શાક, કઢી, ખીચડી સહીતની ભોજનની સામગ્રી પુરી પડાઈ રહી છે.મોરબી : હરહંમેશ માનવસેવા માટે અગ્રેસર શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં મોરબી જીલ્લામાં થયેલ અતિવૃષ્ટીના પગલે સ્થળાંતરીતો માટે ફુડપેકેટ બનાવવાની કામગીરી અવિરતપણે સંસ્થા દ્વારા ચાલુ રખાઈ છે. ગઈકાલે મોરબી જીલ્લા વહીવટી તંત્રની સુચનાથી મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા 10000 ફુડપેકેટ બનાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત આજે પણ ફુડપેકેટ બનાવવાનુ સંસ્થા દ્વારા અવિરતપણે ચાલુ રાખવામાં આવ્યુ છે.આ ફૂડ પેકેટમાં લાડવા-ગાંઠીયા, સુખડી, પૂરી-શાક, ભાત, ખીચડી, કઢી સહીતની ભોજન સામગ્રી પ્રદાન કરી સ્થળાંતરિતોને ભરપેટ ભોજન પીરસી તેમની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત કચ્છ જતાં પ્રવાસીઓને પણ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. મોરબી રામધન આશ્રમના મહંત પ.પૂ. રતનેશ્વરી દેવીજી સહીતના સંતો-મહંતો એ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરની રૂબરૂ મુલાકાત લઈ સેવાકાર્યની સરાહના કરી આશિર્વાદ અર્પણ કર્યા હતા. સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીના નેતૃત્વમાં કાર્યરત સેવાકાર્યમાં શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહીતની સંસ્થાના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.